ગુજરાત ખાદીનું રાષ્ટ્રીય વેચાણ પાવરહાઉસ: છેલ્લા ત્રણ વર્ષમાં 1,700 કરોડ રૂ. થી વધુનું વેચાણ
Live TV
-
ગુજરાત ખાદીનું રાષ્ટ્રીય વેચાણ પાવરહાઉસ: છેલ્લા ત્રણ વર્ષમાં 1,700 કરોડ રૂ. થી વધુનું વેચાણ
ગાંધીજીના સ્વદેશી અને આત્મનિર્ભરતાના વિચારનું જીવંત સ્વરૂપ એવી ખાદીને પ્રોત્સાહન આપવામાં ગુજરાત રાજ્યે સમગ્ર દેશમાં અગ્રેસર સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગુજરાત રાજ્યની સ્થાપનાથી કાર્યરત ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના સક્રિય પ્રયાસોને કારણે ખાદી પ્રવૃત્તિ એક નવી ઊંચાઈએ પહોંચી છે.
ઐતિહાસિક વેચાણ અને રોજગાર
રાજ્યમાં ખાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓએ છેલ્લા ત્રણ વર્ષ (વર્ષ 2022-23થી 2024-૨25) દરમિયાન રૂ. 1700કરોડથી વધુનું વેચાણ કરીને સ્વદેશી અભિયાનમાં વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે.
ખાસ કરીને, વર્ષ 2024-25માં અંદાજે રૂ. 683 કરોડથી વધુના ખાદી ઉત્પાદનોનું વેચાણ કરવામાં આવ્યું છે. આ જંગી વેચાણ થકી ખાદી ઉત્પાદન પ્રવૃત્તિ ક્ષેત્રે સંકળાયેલા હજારો કાંતનાર-વણનાર કારીગરોને સતત રોજગારી મળી રહી છે, જે ગ્રામીણ આર્થિક-સામાજિક વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી' અભિયાનના માર્ગદર્શન હેઠળ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત ખાદીનું વેચાણ કરનાર રાજ્ય તરીકે દેશભરમાં મોખરે છે.
યુવા આકર્ષણ અને વિશેષ પ્રોત્સાહન
આધુનિક યુગમાં પણ યુવા વર્ગમાં ખાદીની લોકપ્રિયતા વધી રહી છે. આ માંગને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર વિશેષ યોજનાઓ ચલાવે છે:
30% ડિસ્કાઉન્ટનો લાભ:
ગાંધીજીની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રિમાસિક ગાળા દરમિયાન ખાદી સંસ્થાઓને 10 ટકા ઉપરાંત વધારાનું 20 ટકા બજાર પ્રોત્સાહન આપવામાં આવે છે. આ પ્રોત્સાહન ગ્રાહકોને છૂટક વેચાણ દરમિયાન આપવામાં આવતા, આમ નાગરિકોને ખાદી ઉત્પાદનો મૂળ કિંમત પર 30 ટકાના ડિસ્કાઉન્ટ ભાવે મળે છે, જેના પરિણામે મોટા પ્રમાણમાં નાગરિકો ખાદી ખરીદવા આકર્ષાય છે.
વિવિધ ઉત્પાદનો અને વૈશ્વિક ઓળખ
ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન (KVIC) માન્ય ખાદી સંસ્થાના વેચાણ કેન્દ્રો દ્વારા માત્ર સુતરાઉ ખાદી જ નહીં, પરંતુ સિલ્ક, વૂલન અને પોલીવસ્ત્ર ખાદી તેમજ સાડી, ધોતી-કુર્તા, જેકેટ, શાલ અને હેન્ડીક્રાફ્ટ જેવી વિવિધ ગુણવત્તાસભર વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે.
ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી નરેશભાઇ પટેલ અને રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોરના સબળ નેતૃત્વમાં ખાદીના ઉત્પાદન અને ઉપયોગને પ્રોત્સાહન આપીને આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ મજબૂત કરવામાં આવી રહ્યો છે. ગુજરાતની ખાદી હવે માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશ અને વિદેશમાં પણ પોતાની ગુણવત્તા અને ડિઝાઇન માટે જાણીતી બની છે.
