અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની ટ્રાફિક સમસ્યાને પહોંચી વળવા નિર્માણાધીન ટ્રાન્સપોર્ટ નગરની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધી મુલાકાત
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચની અંકલેશ્વર જી.આઇ.ડી.સી.ખાતે નિર્માણ થઈ રહેલા ટ્રાન્સપોર્ટ નગરની મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રીની ભરૂચ જિલ્લાની એક દિવસિય મુલાકાત દરમિયાન તેમણે અંકલેશ્વર જી.આઇ.ડી.સી.માં ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા પાંચ હેક્ટર વિસ્તારમાં વિકસાવવામાં આવી રહેલા આ ડેડીકેટેડ ટ્રાન્સપોર્ટ એન્ડ પાર્કિંગ ઝોનની કામગીરીના નિરીક્ષણ માટે સ્થળ મુલાકાત કરી હતી.
આ ટ્રાન્સપોર્ટ પાર્ક-નગરનું નિર્માણ અંકલેશ્વર જી.આઇ.ડી.સી.માં વધતી જતી ટ્રાફિક સમસ્યાને પહોંચી વળવા તથા ઉદ્યોગના માલસામાનના સંગ્રહ માટે એસ્ટેટની લોજિસ્ટિક્સ કામગીરી વધુ સંગીન બનાવવા કરવામાં આવ્યું છે. 13 મીટર ઊંચાઈ ધરાવતું પી.ઈ.બી. વેરહાઉસ તથા 510 વાહનો માટે પાર્કિંગની સવલતો આ ટ્રાન્સપોર્ટ નગરમાં ઉપલબ્ધ કરવામાં આવી છે. અંદાજે રૂ. 31.72 કરોડના ખર્ચે નિર્માણ થઈ રહેલા આ નગરની મોટાભાગની કામગીરી પૂર્ણતાને આરે છે તથા ઇન્ટરનલ રોડ, પ્રી કાસ્ટ ડ્રેઈન, રિચાર્જ વેલ અને સિક્યુરિટી કેબિન તથા કમ્પાઉન્ડ વોલ સહિતની સુવિધાઓનો સમાવેશ થાય છે.
પેટ્રોલ પંપ, ગેરેજ, વિશ્રામ ગૃહ તથા કોમર્શિયલ એક્ટિવિટી માટેના જે આયોજનો આ ટ્રાન્સપોર્ટ નગરમાં છે તેની વિગતો પણ મુખ્યમંત્રીને આ મુલાકાત દરમિયાન આપવામાં આવી હતી. આ નિરીક્ષણ મુલાકાતમાં મુખ્યમંત્રી સાથે ભરૂચ જિલ્લાના ધારાસભ્ય સર્વ ઈશ્વરસિંહ પટેલ, અરુણસિંહ રાણા, રમેશભાઈ મિસ્ત્રી, ડી. કે. સ્વામી, રિતેશ વસાવા અને અધિકારીઓ-પદાધિકારીઓ પણ જોડાયા હતા.
