અમદાવાદમાં ભવ્ય ફ્લાવર શૉનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ધાટન, 10 લાખથી વધુ ફૂલ-છોડના અદ્ભુત આકર્ષણો
Live TV
-
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભવ્ય ઈન્ટરનેશનલ ફ્લાવર શૉનું આયોજન કરવામાં આવ્યું છે. 1 જાન્યુઆરીના રોજ સવારે 9 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ મહોત્સવનું ઉદ્ઘાટન કરાયું. ફ્લાવર શૉ આગામી 25 જાન્યુઆરી સુધી ચાલશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે પણ સાબરમતી રિવરફ્રન્ટ પર ભવ્ય ઇન્ટરનેશનલ ફ્લાવર શૉનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે ફ્લાવર શૉ સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ કાંઠે સરદાર બ્રિજથી સ્વામી વિવેકાનંદ બ્રિજની વચ્ચે આવેલા ઇવેન્ટ સેન્ટર અને ફ્લાવર ગાર્ડનમાં કુલ 73,000 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં પથરાયેલો છે.
આ વખતે 'ભારત એક ગાથા' થીમ છે. ફ્લાવર શૉમાં 167થી વધુ અદ્ભુત સ્કલ્પચર્સ અને 48થી વધુ પ્રજાતિના અંદાજે 10 લાખથી વધુ ફૂલ-છોડનો ઉપયોગ કરાયો છે. ફ્લાવર શૉનો સમય સવારે 9:00 વાગ્યાથી રાત્રે 10:00 વાગ્યા સુધીનો રહેશે.
ટિકિટની વાત કરીએ તો, AMC ટિકિટિંગ અને ક્રાઉડ મેનેજમેન્ટની આધુનિક વ્યવસ્થા કરી છે. જેમાં સોમવારથી શુક્રવાર દરમિયાન ટિકિટનો દર 80 રૂપિયા અને શનિ-રવિ કે જાહેર રજાના દિવસે 100 રૂપિયા રાખવામાં આવ્યો છે. જ્યારે 12 વર્ષથી નીચેના બાળકો, AMC સ્કૂલના વિદ્યાર્થીઓ, દિવ્યાંગો, સૈનિકો અને પત્રકારો માટે પ્રવેશ તદ્દન નિશુલ્ક છે. જોકે, અન્ય શાળાના બાળકો માટે સવારના સમયે માત્ર 10 રૂપિયા ફી રાખવામાં આવી છે. આ સાથે શાંતિથી નિહાળવા માંગતા લોકો માટે 500 રૂપિયાની ટિકિટ સાથે 'પ્રાઇમ સ્લોટ'ની પણ વ્યવસ્થા છે.
