અમિતભાઈ શાહે વિનોદ ભટ્ટને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા
Live TV
-
ગુજરાતના વિખ્યાત હાસ્ય લેખક વિનોદભાઈ ભટ્ટના દુઃખદ અવસાન નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પતા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, ગુજરાતના સાહિત્ય જગતમાં હાસ્ય લેખનના ક્ષેત્રમાં સીમાચિહ્નરૂપ આદરણીય વિનોદભાઈ ભટ્ટને સદ્ગત કહેતા મન વિષાદ અનુભવે છે. નિર્ભેળ, સુક્ષ્મ અને સહજ રીતે નિષ્પન્ન થતા હાસ્યના સર્જક તરીકે ગુજરાત અને દરેક ગુજરાતીઓએ તેમને દાયકાઓ સુધી માણ્યા છે. જેમના નામમાં જ સમગ્ર વ્યક્તિત્વ પ્રગટ થતું હોય તેવું ઓછું બને છે.
સ્વર્ગસ્થ વિનોદભાઈ ભટ્ટને વાંચીને હું મોટો થયો છું. “કુમાર” તેમજ “નવચેતન”માં પ્રગટ થયેલા તેમના લેખોથી શરૂ કરી તેમની વિખ્યાત કટાર “ઇદ્મ તૃતીયમ્” અને “વિનોદની નજરે” ગુજરાતી હાસ્ય સાહિત્યમાં શીરમોર સમાન છે. હાસ્ય સાહિત્યના નભોમંડળમાં તેઓનું સ્થાન “ધ્રુવતારક” સમાન અવિચળ રહેશે. સ્વર્ગસ્થના અવસાનથી પરિવાર અને સાહિત્ય જગતને ન પૂરી શકાય તેવી ખોટ અનુભવાશે. સદ્ગતના આત્માને પરમાત્મા શાંતિ અર્પે.
