આચાર્ય દેવવ્રતજીને મહારાષ્ટ્રના રાજ્યપાલની વધારાની જવાબદારી સોંપાઈ
Live TV
-
સી.પી. રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ આચાર્ય દેવવ્રત મહારાષ્ટ્રના રાજ્યપાલની જવાબદારી નિભાવશે. સી.પી. રાધાકૃષ્ણને મહારાષ્ટ્રના રાજ્યપાલ પદેથી રાજીનામું આપ્યું છે. જેના કારણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મહારાષ્ટ્રની વધારાની જવાબદારી સોંપી છે.
સી.પી. રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ આચાર્ય દેવવ્રત મહારાષ્ટ્રના રાજ્યપાલની જવાબદારી નિભાવશે. સી.પી. રાધાકૃષ્ણને મહારાષ્ટ્રના રાજ્યપાલ પદેથી રાજીનામું આપ્યું છે. જેના કારણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મહારાષ્ટ્રની વધારાની જવાબદારી સોંપી છે. આ સંદર્ભે રાષ્ટ્રપતિના પ્રેસ સચિવ અજય કુમાર સિંહે ગુરુવારે સત્તાવાર આદેશ બહાર પાડ્યો હતો. પ્રેસ વિજ્ઞાપનમાં જણાવાયું હતું કે, "સી.પી. રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હોવાથી મહારાષ્ટ્રના રાજ્યપાલનું પદ છોડ્યા બાદ ભારતના રાષ્ટ્રપતિએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને તેમના પોતાના કાયમી કાર્યકર્તવ્યો ઉપરાંત મહારાષ્ટ્રના રાજ્યપાલના કાર્યોનો કાર્યભાર સંભાળવા માટે નિયુક્ત કર્યા છે."
ગુજરાતના રાજ્યપાલ તરીકેની જવાબદારી સંભાળવા પહેલાં આચાર્ય દેવવ્રત ઓગસ્ટ 2015થી જુલાઈ 2019 સુધી હિમાચલ પ્રદેશના રાજ્યપાલ રહ્યા હતા. તેમણે જુલાઈ 2019થી ગુજરાતના રાજ્યપાલ તરીકે કાર્ય શરૂ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના રાજ્યપાલ રહેલા સી.પી. રાધાકૃષ્ણન 9 સપ્ટેમ્બરે ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાયા હતા. સી.પી. રાધાકૃષ્ણને ભારતીય જનતા પાર્ટી હેઠળના NDAના ઉમેદવાર તરીકે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી લડી હતી. તેમણે 'ઈન્ડિયા' બ્લોકના ઉમેદવાર અને સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ બી. સુદર્શન રેડ્ડીને હરાવ્યા હતા. સી.પી. રાધાકૃષ્ણને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં 452 મત મળ્યા હતા.
ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ સી.પી. રાધાકૃષ્ણને મહારાષ્ટ્રના રાજ્યપાલનું પદ છોડી દીધું, જેનો કાર્યભાર તેઓ જુલાઈ 2024થી સંભાળી રહ્યા હતા. સી.પી. રાધાકૃષ્ણને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે રમેશ બૈસની જગ્યાએ નિયુક્ત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંગળવારે સી.પી. રાધાકૃષ્ણનને ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાતા અભિનંદન પાઠવ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર લખ્યું હતું કે, "જાહેર જીવનનો આપનો (સી.પી. રાધાકૃષ્ણન) દાયકાઓનો સમૃદ્ધ અનુભવ રાષ્ટ્રની પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. હું આપને સફળ અને પ્રભાવશાળી કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવું છું."
