કોરોનાને પગલે રાજ્યમાં અનેક સ્થળોએ સ્વૈચ્છિક બંધ, ઊંઝા માર્કેટયાર્ડ સ્વયંભૂ બંધ
Live TV
-
દ્વારકાના ખંભાળિયામાં 20થી 31 જુલાઈ સુધી બપોરના 3 વાગ્યા પછી સ્વૈ્છિક બંધ. છોટા ઉદેપુરના બોડેલીમાં 6 દિવસ જનતા લૉકડાઉનનો તો, અમરેલીમાં 20થી 25 જુલાઈ અને જામનગરમાં 9 દિવસ માટે પાન, મસાલા, ચા નાસ્તાની લારીઓ અને દુકાનો બંધ કરવા આદેશ
ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધારે કેસ નોંધાયા છે. રાજ્યમાં 949 કેસ નોંધાયા હતા. તો 770 દર્દી સ્વસ્થ થતાં તેમને રજા આપવામાં આવી હતી. જ્યારે 17 લોકોનાં મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5 લાખ 12 હજાર ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 11 હજાર 464 કેસ એક્ટિવ છે. જેમાંથી 11 હજાર 393 લોકો સ્ટેબલ છે. જ્યારે 71 લોકો વેન્ટિલેટર પર છે.
છેલ્લા ચોવીસ કલાકમાં સુરતમાં સૌથી વધારે 177 કેસ નોંધાયા પછી આજે નવા 98 કેસ સામે આવ્યાં છે. સુરતમાં ગઈકાલ સાંજ પછી વધુ 7 લોકોના મોત થતાં એક દિવસમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા 15 થઇ હતી. આમ સુરત શહેરમાં 362 જ્યારે સુરત ડિસ્ટ્રીક્ટમાં 54, એમ મળીને સુરતનો મૃત્યુઆંક 416 પર પહોંચી ગયો છે.
નાના શહેરો અને જિલ્લાઓમાં પણ કોરોનાના કેસ વધી રહ્યાં છે. છેલ્લાં 24 કલાક બાદ બોટાદમાં 3, ગીરસોમનાથમાં 11, દમણમાં 15, નવસારી અને વલસાડમાં 17, દાહોદમાં અને પાટણ 15, ભરૂચમાં 13, સુરેન્દ્રનગરમાં 13 જ્યારે અરવલ્લી અને અમરેલીમાં 3-3 કેસ કોરોના સંક્રમણના કેસ નોંધાયા હતા.
બીજી તરફ કોરોના સંક્રમણને રોકવા ઊંઝા માર્કેટ યાર્ડના વેપારી એસોસિએશન તેમજ વેપારી મંડળે આગામી 20થી 25 જુલાઈ સુધી ઊંઝા માર્કેટ યાર્ડ સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. એ જ રીતે દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં તમામ વેપારી એસોસિએશન દ્વારા 20થી 31 જુલાઈ સુધી બપોરના 3 વાગ્યા પછી વેપાર ધંધાઓ સ્વૈચ્છિક રીતે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમરેલીમાં ચાંવડ ચેકપોસ્ટ કાર્યરત કર્યા પછી જિલ્લા કલેક્ટર આયુષ ઓક એ અમરેલી શહેરમાં 20થી 25 જુલાઈ સુધી પાન, મસાલા, ચા નાસ્તાની લારીઓ અને દુકાનો બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત જામનગર શહેરમાં અને ધ્રોલ નગરપાલિકામાં પણ આજથી 26 જુલાઈ સુધી પાન, મસાલા, ચા નાસ્તાની લારીઓ અને દુકાનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
ભરૂચમાં સંક્રમણ ન વધે તેની તકેદારી માટે ભરૂચ મામલતદારે, ભરૂચના શહેરી વિસ્તારોમાં આવેલી દુકાનો સવારના 7થી બપોરના 2 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવા અંગેનું જાહેરનામુ બહાર પાડવા કલેક્ટરને દરખાસ્ત કરી છે. રાજ્યમાં કોરોનાની સ્થિતી અંગે અમારા સંવાદદાતાઓએ વધુ માહિતી આપી હતી.
