ગીર સોમનાથમાં નાળિયેરીની ખેતીનું કમબેક: સફેદ માખીના પ્રકોપ બાદ ખેડૂતો ફરી વળ્યા કલ્પવૃક્ષ તરફ
Live TV
-
ગીર સોમનાથમાં નાળિયેરીની ખેતીનું કમબેક: સફેદ માખીના પ્રકોપ બાદ ખેડૂતો ફરી વળ્યા કલ્પવૃક્ષ તરફ
એક સમયે ગીર સોમનાથ જિલ્લાની ઓળખ ગણાતા નાળિયેરના બગીચાઓ ફરીથી લીલાછમ થવા લાગ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી રોગચાળાના કારણે મુશ્કેલીમાં મુકાયેલા ગીરના પ્રગતિશીલ ખેડૂતોએ હવે આધુનિક અને જૈવિક પદ્ધતિઓ અપનાવીને નાળિયેરનું ઉત્પાદન વધારવામાં મોટી સફળતા મેળવી છે, જેનાથી તેમની કમાણીમાં પણ જબરદસ્ત વધારો થયો છે.
સફેદ માખીના આતંકથી કંટાળી ખેડૂતોએ નાળિયેરી કાપી નાખી હતી
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી ગીર પંથકના નાળિયેરના બગીચાઓમાં 'સફેદ માખી' નો ભારે પ્રકોપ જોવા મળ્યો હતો. આ રોગચાળાને કારણે નાળિયેરનું ઉત્પાદન સાવ તળિયે બેસી ગયું હતું. આ નુકસાનીથી કંટાળીને અનેક ખેડૂતોએ પોતાના વર્ષો જૂના નાળિયેરીના ઝાડ કાપી નાખ્યા હતા અને અન્ય પાકોની ખેતી તરફ વળવાની ફરજ પડી હતી.
ઉંબરી ગામના માલદેભાઈએ 'મહુવા ડીટી' વેરાયટીથી મેળવી સફળતા
આ કપરા સમય વચ્ચે પણ ગીરના ખેડૂતોએ હિંમત ન હારી. ગીર સોમનાથના ઉંબરી ગામના પ્રગતિશીલ ખેડૂત માલદેભાઈ પંપાણિયા જેઓ છેલ્લા 20 વર્ષથી નાળિયેરીની ખેતી સાથે જોડાયેલા છે, તેમણે એક નવો પ્રયોગ કર્યો. તેમણે મહુવાથી ખાસ 'ડીટી' નાળિયેરીના રોપા લાવીને પોતાના ખેતરમાં વાવ્યા હતા. વિવિધ જૈવિક અને ઓર્ગેનિક પદ્ધતિઓ અપનાવીને તેમણે આ રોપાઓનું જતન કર્યું. પરિણામે, તેમને ખૂબ જ ટૂંકા સમયમાં આશ્ચર્યજનક અને ઉત્તમ પરિણામ મળ્યું છે.
રાસાયણિક ખાતરો અને દવાઓ છોડીને જૈવિક પદ્ધતિ અપનાવવાથી નાળિયેરીમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને ઉત્પાદન પણ બમણું મળે છે.
ગીરમાં ફરી ખીલશે નાળિયેરીના બગીચા
માલદેભાઈ જેવા અનેક પ્રગતિશીલ ખેડૂતોની આ સફળતા જોઈને ગીર પંથકના અન્ય ખેડૂતોમાં પણ નવો ઉત્સાહ જાગ્યો છે. જે ખેડૂતો નાળિયેરીની ખેતી છોડી ચૂક્યા હતા, તેઓ હવે ફરીથી નાળિયેરના વાવેતર તરફ વળ્યા છે. યોગ્ય માર્ગદર્શન અને નવી કલમોના ઉપયોગથી ગીર સોમનાથ જિલ્લો ફરી એકવાર દેશભરમાં ગુણવત્તાયુક્ત નાળિયેરના ઉત્પાદન માટે ડંકો વગાડવા તૈયાર થઈ રહ્યો છે.
