ગુજરાત લોકભવનમાં આયોજિત ઐતિહાસિક શ્રીરામકથાનો ત્રીજો દિવસ
Live TV
-
ગાંધીનગર સ્થિત ગુજરાત લોકભવન ખાતે આયોજિત ઐતિહાસિક શ્રીરામકથાના ત્રીજા દિવસે સુપ્રસિદ્ધ કથાવાચક આચાર્ય કુલદીપજી મહારાજે શ્રીરામ દ્વારા કરવામાં આવેલ યજ્ઞની રક્ષા, અહલ્યા ઉદ્ધાર અને શ્રીરામ-જાનકી વિવાહનું અત્યંત ભાવપૂર્ણ વર્ણન કર્યું હતું.
કથાના પ્રારંભમાં આચાર્યએ જણાવ્યું કે, મુનિ વિશ્વામિત્રના સિદ્ધ આશ્રમમાં શ્રીરામે અદભૂત પરાક્રમ દાખવીને રાક્ષસોનો સંહાર કર્યો. મારીચને પરાજિત કરી અને સુબાહુનો વધ કરીને તેમણે યજ્ઞની રક્ષા કરી. આચાર્યએ અહલ્યા ઉદ્ધારનો પ્રસંગ વર્ણવતા કહ્યું કે, શ્રીરામના સાનિધ્યથી અહલ્યાનું જીવન ધન્ય થઈ ગયું. કથાના મુખ્ય આકર્ષણ સમાન શ્રીરામ-જાનકી વિવાહનો પ્રસંગ વર્ણવતા તેમણે જણાવ્યું કે, રાજા જનકની શરત પૂર્ણ કરીને શ્રીરામે જ્યારે શિવધનુષ પર પ્રત્યંચા ચઢાવીને ખેંચી, ત્યારે શિવધનુષ તેમના બાહુબળ સામે તૂટી ગયું. આ દ્રશ્ય સાથે જ સમગ્ર વાતાવરણ સિયાવર રામચંદ્ર કી જયના નાદથી ગુંજી ઉઠ્યું હતું.આચાર્યએ ગૃહસ્થાશ્રમના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે, ચારેય આશ્રમોમાં ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે, કારણ કે આ આશ્રમ પર જ બાકીના તમામ આશ્રમોનો આધાર છે. જેનું ગૃહસ્થ જીવન સુધરે છે, તેનું બધું જ સુધરે છે. શ્રીરામ-સીતાજી, લક્ષ્મણ-ઉર્મિલા, ભરત-માંડવી અને શત્રુઘ્ન-શ્રુતકિર્તિના વિવાહ વૈદિક વિધિ-વિધાનથી સંપન્ન થયા હોવાનું આચાર્યશ્રીએ ઉમેર્યું હતું.
સીતાજીની વિદાય પ્રસંગે વાતાવરણ અત્યંત ભાવુક બની ગયું હતું. આ પ્રસંગે માતા સુનૈના અને વિદેહરાજ જનક દ્વારા સીતાજીને આપવામાં આવેલા ઉપદેશોને ટાંકીને આચાર્યશ્રીએ ઉપસ્થિત જનમેદનીને અપીલ કરી હતી કે, દરેક માતા-પિતાએ પોતાની દીકરીને સાસરીમાં જતી વખતે સંસ્કારરૂપી ઘરેણાં અચૂક આપવા જોઈએ. તેમણે જણાવ્યું કે, સાસુને મા માનવી, સસરાને પિતા સમાન ગણવા, મધુર મુસ્કાન રાખવી, અતિથિ સત્કાર કરવો અને નિત્ય યજ્ઞ કરવો, આ સાચા સંસ્કારો છે. 'બાબુલ કા ઘર જન્મભૂમિ હૈ, કર્મભૂમિ સસુરાલ' આ વાતને યાદ રાખી દીકરીએ બંને કુળની લાજ રાખવી જોઈએ.રામચરિત માનસની ચોપાઈઓ અને ભક્તિમય ભજનોથી સમગ્ર લોકભવનનું વાતાવરણ ભક્તિના રંગે રંગાઈ ગયું હતું. આચાર્યની વાણી અને ભજનોએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.આ કાર્યક્રમની શરૂઆતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદભાઈ પટેલ, ગૂજરાત વિદ્યાપીઠ મંડળના ટ્રસ્ટી હસમુખ પટેલે દીપ પ્રાગટય તથા આચાર્ય કુલદીપજી મહારાજનું ફુલહાર દ્વારા સન્માન કર્યું હતું. લેડી ગવર્નર દર્શના દેવીજી, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના કુલપતિ ડૉ. સી. કે. ટીંબડીયા, સરદાર પટેલ વિશ્વવિદ્યાલયના કુલપતિ ડૉ. નિરંજનભાઈ પટેલ, ગુજરાતના આંતરરાષ્ટ્રીય સ્વિમર આર્યન નેહરા સહિતના મહાનુભાવો અને નગરજનોએ ઉપસ્થિત રહી શ્રીરામકથાનું રસપાન કર્યું હતું.
