ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સરકારી જમીન ફાળવણીમાં ઐતિહાસિક સુધારો
Live TV
-
રાજ્યમાં ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ (Ease of Doing Business) અને વહીવટી પ્રક્રિયાઓમાં વ્યાપક સરળીકરણ લાવવાની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયાને વધુ ઝડપી, પારદર્શક અને સરળ બનાવવા માટે રાજ્ય સરકારે જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO)ની નાણાકીય સત્તામર્યાદામાં મોટો વધારો કર્યો છે.
આ નવા નિર્ણયને કારણે હવે નાગરિકો, સંસ્થાઓ અને સરકારી વિભાગોને નાના-મોટા કામો માટે ગાંધીનગર સુધી લાંબા થવું નહીં પડે, પરંતુ જિલ્લા કક્ષાએ જ ઝડપથી મંજૂરી અને ફોલોઅપ મળી રહેશે.
કલેક્ટરો અને ડી.ડી.ઓ.ની સત્તામર્યાદામાં કેટલો વધારો થયો?
1. જિલ્લા કલેક્ટરની સત્તામર્યાદામાં વધારો:- રાજ્ય સરકારના બોર્ડ/કોર્પોરેશન (2 હેક્ટર સુધીની જમીન): મર્યાદા રૂ. 15 લાખથી વધારીને રૂ.1 કરોડ કરાઈ.
- કેન્દ્ર સરકારના વિભાગો (જાહેર હેતુ - 1 હેક્ટર સુધી): મર્યાદા રૂ. 15 લાખથી વધારીને રૂ. 50 લાખ કરાઈ.
- સહકારી ગૃહ નિર્માણ મંડળીઓ: મર્યાદા રૂ. 6 લાખથી વધારીને રૂ. 50 લાખ કરાઈ.
- સરકારી કર્મચારી / વ્યક્તિગત રહેણાંક હેતુ: મર્યાદા રૂ. ૧ લાખથી વધારીને રૂ. ૨૦ લાખ કરાઈ.
- સહકારી ગોડાઉન અને અન્ય સંસ્થાઓ: મર્યાદા રૂ. 3 લાખથી વધારીને રૂ. 15 લાખ કરાઈ.
- વ્યાપારિક હેતુ (હરાજીથી): મર્યાદા રૂ.1 લાખથી વધારીને રૂ. 5 લાખ કરાઈ.
2. જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO)ની ગામતળ પ્લોટ ફાળવણી સત્તામાં વધારો:
- સહકારી ગૃહ નિર્માણ મંડળીઓ: મર્યાદા રૂ. 1.5 લાખથી વધારીને રૂ. 7.5 લાખ કરાઈ.
- વક્તિગત રહેઠાણ: મર્યાદા રૂ. 20,000થી વધારીને રૂ. 1,00,000 કરાઈ.
- દૂધ મંડળીઓ / સહકારી ગોડાઉન / ગ્રામીણ ગ્રીડ: મર્યાદા રૂ. 20,000થી વધારીને રૂ. 1,00,000 કરાઈ.
આ નિર્ણયથી નાગરિકો અને રાજ્યને શું થશે ફાયદો?
વહીવટી વિલંબ ઘટશે: સ્થાનિક કક્ષાએ જ જમીનનો રેકોર્ડ અને સ્થળ સ્થિતિ ઉપલબ્ધ હોવાથી વહીવટી પ્રક્રિયા ટૂંકી બનશે અને ગાંધીનગરની દોડધામમાંથી મુક્તિ મળશે.વિકાસ કાર્યો અને રોજગારીને વેગ: ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ્સ, ઔદ્યોગિક અને સામાજિક-જાહેર હેતુઓ માટે જમીન ફાળવણી ઝડપી બનતા નવા પ્રોજેક્ટ્સ સમયસર ધમધમતા થશે, જેનાથી રોજગારીની નવી તકો ઊભી થશે.
સરકારી તિજોરીને લાભ: જમીનની ફાળવણી ઝડપી થવાથી પ્રીમિયમ અને કબજાકિંમતની રકમ વહેલી તકે સરકારી તિજોરીમાં જમા થશે.
કાર્યોનું પુનરાવર્તન અટકશે: ભારત સરકાર કે રાજ્યના બોર્ડ-કોર્પોરેશનોને જમીન ફાળવણી બાબતે કલેક્ટર દ્વારા જનરેટ કરાયેલ ઈન્ટિમેશન પછી કબજાકિંમત ભરપાઈ કરવાની મુદ્દતમાં વિશેષ છૂટછાટ મળવાથી કામગીરી વધુ સરળ બનશે.
