ગ્લોબલ વોર્મીંગ જેવી સમસ્યા પ્રકૃતિના દોહનનું પરિણામઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
Live TV
-
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બારડોલીના દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા યોજાયેલા ગ્રામ વિકાસ માટેના 'ગ્રામ ગરિમા' અને 'દીપ પ્રજ્વલન ' પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યુ હતુ કે, આત્મનિર્ભર ગામ અને આત્મનિર્ભર ખેડૂત દ્નારા આત્મનિર્ભર ભારતનું નિર્માણ શક્ય બનશે. તેમણે જણાવ્યું હતું કે, માનવીએ પ્રકૃતિનું અતિ દોહન કર્યું છે. રાસાયણિક કૃષિ અને જંતુનાશકોના ઉપયોગને કારણે જળ, જમીન અને પર્યાવરણ દુષિત થયાં છે. ખાદ્યાન્ન દુષિત થતાં માનવીના સ્વાસ્થ્ય સામે મોટો ખતરો પેદા થયો છે.
લોકો અસાધ્ય રોગના ભોગ બની રહ્યા છે. રાજ્યપાલે એમ પણ જણાવ્યુ હતુ કે, ગ્લોબલ વોર્મિંગની સમસ્યામાં રાસાયણિક કૃષિનો 24 ટકા જેટલો ફાળો છે. રાસાયણિક કૃષિના આવા દુષ્પરિણામોથી બચવા માટે પ્રાકૃતિક કૃષિ એક મજબૂત વિકલ્પ છે. આ એક એવી કૃષિ પદ્ધતિ છે જેમાં કૃષિ ખર્ચ નહિવત થાય છે અને ઉત્પાદન ઘટતું નથી અને સરવાળે ખેડૂતોને આર્થિક ફાયદો થાય છે.
રાજ્યપાલે ગામડાંના સર્વાંગી વિકાસ માટે બારડોલીના દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા થઇ રહેલાં સામૂહિક પ્રયાસોની નોંધ લઇ જણાવ્યુ હતુ કે, બારડોલી એ સરદાર વલ્લભભાઇ પટેલની કર્મભૂમિ છે ત્યારે સરદાર પટેલે દેશની એકતા અને અખંડતા માટે કરેલાં પ્રયાસોથી પ્રેરણા લઇને યુવાનોએ જનવિકાસના કાર્યો માટે પૂર્ણ કર્તવ્યભાવથી પ્રવૃત્ત થવું જોઇએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકા સ્થિત બી. યુ. પટેલ અને તેમના ધર્મપત્ની પુષ્પાબેન પટેલ દ્વારા સર્વાંગી ગ્રામ વિકાસ માટે દિવાળીબેન ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી. આ ટ્રસ્ટ દ્વારા દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં વિવિધ વિકાસ કામો થઇ રહ્યા છે. જે અંતર્ગત મહિલા સશક્તિકરણ, યુવા સશક્તિકરણ, સેવા સેતુ, તેમજ સ્વાશ્રય કેન્દ્રોના માધ્યમથી ગ્રામ ગરિમા પ્રોજેક્ટ અને કોરોના મહામારીમાં શિક્ષણથી વિમુખ પ્રાથમિક શાળાના બાળકોને શિક્ષણ અભિમુખ કરવાના પ્રયાસ રૂપે દીપ પ્રજ્વલન પ્રોજેક્ટનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
