જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરેની અધ્યક્ષતામાં અમદાવાદ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની યોજાઈ બેઠક
Live TV
-
અમદાવાદ જિલ્લામાં 'જળ અને સ્વચ્છતા' સંબંધિત કાર્યક્રમોને વેગ આપવાના ઉદ્દેશ સાથે જિલ્લા કલેકટર કચેરી ખાતે અમદાવાદ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી.
જળ અને સ્વચ્છતા સમિતિ, અમદાવાદ (DWSM) દ્વારા 'રીજુવીનેશન અને DWSM કાર્યક્રમ' અંતર્ગત આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી (DDO) શ્રી વિદેહ ખરેની અધ્યક્ષતામાં આયોજિત આ બેઠકમાં જળ વ્યવસ્થાપન અને સ્વચ્છતા મિશન સંબંધિત વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચાના મુખ્ય વિષયોમાં જિલ્લાના ગામોમાં પીવાના પાણીની માળખાગત સુવિધાઓ ઊભી કરવા સંબંધિત કામોને મંજૂર કરવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી તથા જળ સંરક્ષણ અંતર્ગત અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પાણીવેરાની વસૂલાતની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત, સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ (SBM-G) અંતર્ગત જિલ્લા જળ અને સ્વચ્છતા મિશન (SWSM)ની કામગીરી અને તેની પ્રગતિ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક અંતર્ગત વિશ્વ શૌચાલય દિવસ 2025 નિમિત્તે અમદાવાદ જિલ્લામાં એક વિશેષ અભિયાનનો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો. આ તકે 'અમારું શૌચાલય, અમારું ભવિષ્ય' અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં સ્વચ્છતા અને શૌચાલયના ઉપયોગ અંગે જાગૃતિ ફેલાવવાનો છે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રીના હસ્તે સામૂહિક શૌચાલય અને વ્યક્તિગત શૌચાલય માટેના મંજૂરી પત્રો લાભાર્થીઓને અર્પણ કરવામાં આવ્યા હતા, જે જિલ્લામાં સ્વચ્છતાની પહેલને વધુ મજબૂત બનાવશે.
