જુનાગઢના સક્કરબાગ ઝૂમાં સિંહો માટે 'એન્ગ્રીસમેન્ટ પ્રોગ્રામ'
Live TV
-
જુનાગઢના સક્કરબાગ ઝૂમાં સિંહો માટે 'એન્ગ્રીસમેન્ટ પ્રોગ્રામ': તંદુરસ્તી અને માનસિક સક્રિયતા વધારવા અનોખો પ્રયોગ
જુનાગઢ સ્થિત વિશ્વ પ્રસિદ્ધ સક્કરબાગ ઝુલોજિકલ ગાર્ડન દ્વારા એશિયાઈ સિંહોની તંદુરસ્તી અને માનસિક સુખાકારી જાળવવા માટે એક અનોખો અને મહત્ત્વપૂર્ણ પ્રયોગ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પહેલને ‘એન્ગ્રીસમેન્ટ પ્રોગ્રામ’ નામ આપવામાં આવ્યું છે.
સામાન્ય રીતે પાંજરાની મર્યાદામાં રહેતા સિંહોમાં આળસ અને માનસિક થાક (Boredom) વધી ન જાય તે માટે ઝૂ સંચાલન દ્વારા આ વિશેષ પ્રવૃત્તિ શરૂ કરાઈ છે.
શારીરિક અને માનસિક સક્રિયતામાં વધારો
આ પ્રોગ્રામ હેઠળ સિંહોને તેમના કુદરતી આચરણની નજીક લઈ જતી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. સિંહોને રમવા, દોડવા અને કૂદાકૂદી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. ખોરાક મેળવવા માટે સિંહોને મહેનત કરવી પડે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવે છે, જેથી તેમની શિકાર કરવાની સહજ વૃત્તિ જળવાઈ રહે.
ઝૂ સંચાલનનો આ અભિગમ માત્ર સિંહોની શારીરિક ફિટનેસ જાળવવા પૂરતો સીમિત નથી. આ પ્રયોગના પરિણામે સિંહોની શારીરિક ચપળતા અને માનસિક સક્રિયતામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ કાર્યક્રમ સક્કરબાગ ઝૂમાં રહેલા રાષ્ટ્રીય પ્રાણીઓના જીવનની ગુણવત્તા સુધારવા માટે એક સફળ પ્રયાસ સાબિત થઈ રહ્યો છે.
