પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પાર્થિવદેહ એરપોર્ટ માર્ગથી ઘરે લવાયો, રાજકિય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર
Live TV
-
12 જૂનની બપોરે 1 વાગ્યાને 40 મિનિટે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતું પ્લેન ક્રેશ થયું હતું. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સીટ નંબર 2D પર બેઠા હતા. આ ભયંકર પ્લેન ક્રેશમાં વિજય રૂપાણીનું નિધન થયું હતું. પ્લેન ક્રેશના 70 કલાક પછી વિજય રૂપાણીનું DNA મેચ થયું હતું.
રૂપાણી પરિવારને પાર્થિવદેહ સોંપવામાં આવ્યો છે. હવે પરિવાર એરપોર્ટ માર્ગે રાજકોટ પહોંચી ગયો છે. અહીં રાજકીય સન્માન સાથે અંતિમવિધિ કરવામાં આવશે. બહુમાળી ભવન ચોક ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. પાર્થિવદેહ ઘરે પહોંચતા જ વિજયભાઈ અમર રહો, જબ તક સૂરજ ચાંદ રહેગા વિજયભાઈ તુમ્હારા નામ રહેગા, ભારત માતા કી જયના નાદ ગુંજી ઉઠ્યા.
પરિવાર પાર્થિવદેહ લઈ આમ્રપાલી બ્રિજ પહોંચતા શહેરવાસીઓએ પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી. કિસાનપરા ચોકથી હનુમાન મઢી તરફ થઈને પાર્થિવદેહ લઈને પરિવાર નિવાસસ્થાને પહોંચ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજય રૂપાણીના અંતિમ દર્શન અને અંતિમ યાત્રામાં તેમના પરિવારને સાંત્વના પાઠવવા રાજકોટ પહોંચ્યા છે.