મંત્રી ઋષિકેશ પટેલે મહિલા અને બાળ રોગની હોસ્પિટલની સામે "ચાલો રમીએ" કિડ્સ ગાર્ડન બાળકો માટે ખુલ્લું મુક્યુ
Live TV
-
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિવિધ આરોગ્યલક્ષી પ્રકલ્પોનું ઉદ્ઘાટન કર્યું હતું.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ટ્રોમા સેન્ટરમાં CTસ્કેન મશીન, OPD બિલ્ડિંગમાં નવું રજીસ્ટ્રેશન કાઉન્ટર, ફાર્મસી કાઉન્ટર,1200 બેડ હોસ્પિટલ ખાતે બાળકો માટેનો બગીચો “ચાલો રમીએ”નું ઉદ્ઘાટન, તથા 1200 બેડમાં CT સ્કેન મશીનનું ઉદ્ઘાટન કર્યુ હતું. આરોગ્ય મંત્રી કેશભાઈ પટેલે હોસ્પિટલના વિવિધ વિભાગની મુલાકાત લીધી હતી તથા 1200 બેડ ખાતે આયોજિત વિભાગના વિવિધ ડોક્ટરો સાથેની બેઠકમાં સહભાગી થયા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલ, અમદાવાદના ટ્રોમા સેન્ટર ખાતે ઇમરજન્સીમાં સારવાર માટે આવતા દર્દીઓને તાત્કાલિક રેડીયોલોજીકલ સેવાઓ મળી રહે તે માટે ટ્રોમા સેન્ટર ગ્રાઉન્ડ ફ્લોરનાં ઇન્ફ્રાસ્ટ્ર્કચરમાં જરૂરી સુધારા વધારા કરી 128 સ્લાઇડ્સનું સીટી સ્કેન મશીન પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે.
આ મશીન GMSCL દ્વારા સપ્લાય કરવામાં આવેલ છે, જેની કિંમત રૂ. 6.15 કરોડ છે.
સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં આવતા દર્દીઓને સીટી સ્કેન કરાવવાની જરૂરિયાત ઉદ્ભવે તો ટ્રોમા સેન્ટરમાં જ ઝડપથી થઈ શકશે. આમ કુલ 4 સીટી સ્કેન મશીનની ઉપલબ્ધતાથી હાલમાં રોજ આશરે 50 દર્દીઓના સીટી સ્કેન થાય છે, જેના બદલે હવેથી અંદાજીત રોજના 100 દર્દીઓના સીટી સ્કેન સરળતાથી થઇ શકશે. સાથેજ વેઇટીંગ લીસ્ટમાં પણ ઘટાડો થશે.
સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે આવેલ જુની ઓર્થોપેડીક વિભાગની ઓપીડીની જગ્યા નાની હોવાથી અને આશરે રોજના 400 જેટલા દર્દીઓ સારવાર માટે આવતા હોવાથી તથા તેનાથી ઓર્થોપેડીક વિભાગની ઓપીડી સતત ભીડભાડવાળી રહેતી હોવાથી તેના ઇન્ફ્રાસ્ટ્ર્કચરમાં જરૂરી સુધારા વધારા કરી સારવાર માટે આવતા દર્દીઓ વધુમાં વધુ તબીબી સેવાઓનો લાભ લઇ શકે તે માટે આશરે 75 દર્દીઓથી વધુ બેસી શકે તેવી વાતાનુકુલીન વેઇટીંગ એરીયાની વ્યવસ્થા સાથે સાથે પીવાના પાણીની વ્યવસ્થા, મેલ/ફીમેલ અને હેન્ડીકેપ માટે ટોઇલેટ બ્લોકની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ સાથે દર્દીઓ સ્ટ્રેચર કે વ્હીલચેરમાં આવતા હોવાથી આવવા જવા માટે પહોળા પેસેજની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આમ ઓર્થોપેડીક ઓપીડીમાં રીનોવેશન બાદ સારવાર માટે આવતા દર્દીઓને ઝડપી અને સારી ગુણવત્તા વાળી તબીબી સેવાઓનો લાભ લઇ શકશે.
સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે જુની ઓપીડી બીલ્ડીંગમાં મેડીસીન, સર્જરી, ઓર્થોપેડીક, સ્કીન, સાઇક્યાટ્રીક અને પલ્મોનરી મેડીસીન વિભાગની ઓપીડી તથા આર.એમ.ઓ ઓફિસ કાર્યરત છે. આ જુદા જુદા વિભાગોમાં સારવાર હેતુ રોજના આશરે 2200 દર્દીઓ તેમજ તેમના સગાઓ આવતા હોય છે. દર્દીઓ તેમજ તેમના સગાઓની સુવિધામાં વધારા હેતુ અલાયદી કેસ બારી અને દવા બારી બનાવવામાં આવી છે. જે સંપૂર્ણ વાતાનુકુલીન છે. કેસ બારીના વેઇટીંગ એરીયામાં આશરે 75 દર્દીઓથી વધુ બેસી શકે તે માટેની બેઠક વ્યવસ્થા, જેમાં પીવાના પાણીની વ્યવસ્થા, હેન્ડીકેપ ટોઇલેટ બ્લોક, મેલ/ફીમેલ ટોઇલેટ બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે.
એ જ રીતે દવા બારીના વેઇટીંગ એરીયામાં આશરે 30 વ્યક્તિઓથી વધુ બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા, કુલ 11 દવા બારી જેમાં સ્ત્રીઓ અને પુરુષો માટે અલગ અલગ દવા બારી, PMJAY લાભાર્થી માટે અલાયદી દવા બારીની વ્યવસ્થા, સિનિયર સીટીઝન અને વિકલાંગ વ્યક્તિઓ માટે અલગ દવા બારીની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આમ કેસ બારી અને દવા બારીની અલાયદી વ્યવસ્થાથી દર્દીઓ ઓછા સમયમાં સારી તબીબી સેવાઓ મેળવી શકશે.
આ સાથે જ સિવિલ હોસ્પિટલ 1200 બેડ વુમન ચાઇલ્ડ અને સુપરસ્પેશ્યાલીટી હોસ્પિટલ પરિસરમાં બાળકો માટે “ચાલો રમીએ” નામના થેરાપ્યુટિક ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, આ ગાર્ડનમાં બાળકોના ભાવનાત્મક અને માનસિક સુખાકારીને સહારો આપવા માટે બનાવવામાં આવેલ છે. સ્વ. ઉર્વશીબેન શંકરલાલ પટેલ(ગામ-પીજ)ના સ્મરણાર્થે નરેન્દ્રભાઇ શંકરલાલ પટેલ, નિરમા રોટરી કલ્બ ઓફ કાંકરીયા, અમદાવાદ અને પાયલબેન કુકરાણી, નરોડા વિધાનસભા, ધારાસભ્યના અનુદાનથી આ “ચાલો રમીએ” ગાર્ડન બનાવવામાં આવેલ છે.
આ નવતર પહેલ બાળકોમાં જુદી જુદી રમત દ્વારા સજાગતા અને પુનઃપ્રાપ્તિ (રીહેબિલિટેશન) માટે અનુકૂળ વાતાવરણ પૂરુ પાડે છે. “ચાલો રમીએ” બાળક સંભાળની સમગ્ર દૃષ્ટિકોણ પ્રત્યે હોસ્પિટલની પ્રતિબદ્ધતાને દર્શાવે છે – જે માત્ર શારીરિક સ્વાસ્થ્ય પૂરતું નહીં, પરંતુ બાળકના માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્યને પણ મહત્વ આપે છે.
પાવરગ્રિડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડની સીએસઆર પહેલ હેઠળ 1200 બેડ સિવિલ હોસ્પિટલ ખાતે 128 સ્લાઇડ્સ સીટી સ્કેન મશીન લગભગ 7 કરોડ રૂપિયાના ખર્ચે સમર્પિત કરવામાં આવ્યું હતું.પાવર ગ્રેડના આ ઉત્કૃષ્ટ કાર્યથી સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં સારવાર માટે આવતા દર્દીઓને આદ્યતન સીટી સ્કેનની સેવાનો લાભ મળી રહેશે.આ કાર્યક્રમમાં અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ દિનેશભાઈ મકવાણા,અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા,નરોડાના ધારાસભ્ય ડૉ. પાયલબેન કુકરાની,અમદાવાદ સિવિલ મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષી ,સિવિલ મેડિસીટીની વિવિધ હોસ્પિટલના ડાયરેક્ટર તથા વિવિધ ડોક્ટરઓ, નર્સિંસ તથા અન્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
