મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ડિકીન યુનિવર્સિટી-ગિફ્ટ કેમ્પસની પ્રથમ ગ્રેજ્યુએટ બેચના દીક્ષાંત સમારોહમાં પ્રેરક સંબોધન
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના એજ્યુકેશન સેક્ટરનું ગ્લોબલ નીડ બેઝ્ડ ટ્રાન્સફોર્મેશન થયું છે. આ માટે તેમણે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં તેમણે ડિજિટલ અને ટેકનોલોજી ડ્રીવન એજ્યુકેશન પર મૂક્યો છે તેની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઓસ્ટ્રેલિયન ડિકીન યુનિવર્સિટીના ગિફ્ટ કેમ્પસની પ્રથમ ગ્રેજ્યુએટ બેચના દીક્ષાંત સમારોહમાં પ્રેરક સંબોધન કરી રહ્યા હતા. મુખ્યમંત્રીએ આ અવસરે ડિગ્રી પ્રાપ્ત કરી રહેલા યુવાઓને તથા ડિકીન યુનિવર્સિટીને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે, ભારતમાં આંતરરાષ્ટ્રીય શાખા કેમ્પસ તરીકે ડિકીન યુનિવર્સિટીએ જે યાત્રા શરૂ કરી છે તેના ગિફ્ટ સિટી કેમ્પસમાં ગ્રેજ્યુએટ થયેલી પ્રથમ બેચનો દીક્ષાંત સમારોહ માત્ર ડિગ્રી એનાયત કરવાનો અવસર નહિ, પણ ભારતનું ગ્લોબલ નોલેજ સેન્ટર તરીકે જે પરિવર્તન થયું છે તેને વિશ્વ સમક્ષ ઉજાગર કરવાનો પ્રસંગ છે. આ દીક્ષાંત સમારોહ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વધતી ભાગીદારીનું પણ પ્રતિબિંબ છે તેમ તેમણે ઉમેર્યું હતું.તેમણે વધુમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રીએ વસુધૈવ કુટુમ્બકમની ભાવના સાથે વિશ્વ કલ્યાણનો રાહ ચીંધ્યો છે અને તેમના માર્ગદર્શનમાં ગુજરાત ટ્રેડ એન્ડ ટ્રેડિશનથી આગળ વધીને ગ્લોબલ ઇકોનોમિક અને નોલેજ સેન્ટર તરીકે ઉભરી રહ્યું છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીકાળથી ગુજરાતે શિક્ષણ ક્ષેત્રમાં અનેક નવા સોપાનો સર કર્યા છે. તેમણે આગવા વિઝનથી વર્લ્ડમાં જે બેસ્ટ હોય તે ગુજરાતના યુવાનો વિદ્યાર્થીઓને ઘર આંગણે મળે તેવો અભિગમ અપનાવ્યો. તેના પરિણામે રાજ્યમાં ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી, પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી, મેરીટાઈમ યુનિવર્સિટી અને રક્ષાશક્તિ તથા નેશનલ લો યુનિવર્સિટી જેવી સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટીઝ શરૂ થઈ છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, ગિફ્ટ સિટી પણ પ્રધાનમંત્રીના આગવા વિઝનનું જીવંત ઉદાહરણ છે તેથી ગિફ્ટ સિટીમાં ફાઈનાન્સિયલ સર્વિસીસ, ટેકનોલોજી અને એજ્યુકેશનનું અનોખું સંકલન થયું છે અને 4 ફોરેન યુનિવર્સિટી કાર્યરત થઈ છે. પ્રધાનમંત્રીના નેતૃત્વમાં દેશમાં ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં સતત વધારો થયો છે તેનો ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો. આ અંગે તેમણે કહ્યું કે, 2014માં દેશમાં IITની સંખ્યા 16 હતી તે વધીને આજે 23 થઈ છે, IITના ગ્લોબલ કેમ્પસ પણ શરૂ થયા છે. IIMની સંખ્યા 13 હતી તે વધીને 21 થઈ છે અને એઈમ્સની સંખ્યા પણ 7 થી વધીને 20 થઈ છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારતના પ્રદર્શનમાં સતત સુધારો થયો છે. એટલું જ નહિ, ઇન્ટર્નશિપ, અપ્રેન્ટિસશિપ અને સ્કિલ આધારિત કોર્સીસના માધ્યમથી “મેક ઈન ઇન્ડિયા” અને “સ્ટાર્ટઅપ ઇન્ડિયા” સાથે સંકલનથી શિક્ષણને ઉદ્યોગ સાથે જોડીને યુવાઓને આત્મનિર્ભર બનવાની તક પૂરી પાડી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં ભારતે છેલ્લા એક દાયકાથી ગ્લોબલ નોલેજ અને એજ્યુકેશન સેક્ટર માટે જે ક્રાંતિકારી પગલાં ભર્યા છે તેની સાક્ષી આ સમારોહ પૂરે છે તેમ પણ તેમણે જણાવ્યું હતુ. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રીએ સ્વયમ અને દીક્ષા ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ્સ જેવા લર્નિંગ ઇનિશિએટિવ્ઝ, ફોરેન યુનિવર્સિટીઓ અને આંતરરાષ્ટ્રીય સહકારને પ્રોત્સાહન તેમજ રિસર્ચ, ઇનોવેશન અને સ્કિલ ડેવલપમેન્ટ પર ભાર મૂક્યો છે. પ્રધાનમંત્રીએ પોતાના આગવા વિઝન સાથે “સ્ટડી ઇન ઇન્ડિયા”, “ગ્લોબલ ઇનિશિયેટિવ ઓફ એકેડેમિક નેટવર્ક્સ (GIAN)” જેવા પ્રકલ્પોથી ભારતને વર્લ્ડ એજ્યુકેશનલ હબ બનાવવા માટે મજબૂત પાયો રચ્યો છે તેના પરિણામે ભારતની પ્રતિભા અને સંભાવનામાં દુનિયાનો વિશ્વાસ આજે સ્પષ્ટ રીતે વધી રહ્યો છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રીના માર્ગદર્શન અને નેતૃત્વમાં તૈયાર થયેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 દ્વારા શિક્ષણને ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સ સાથે જોડવામાં આવ્યું છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલૉજી(NIFT), નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન(NID), IIT-ગાંધીનગર, ડીએ-આઈઆઈસીટી, નાઈપર જેવી પ્રતિષ્ઠતિ શૈક્ષણિક સંસ્થાઓ ગાંધીનગરમાં કાર્યરત થઈ છે તેના પરિણામે ગાંધીનગર એજ્યુકેશનલ હબ બન્યુ છે તેમ પણ મુખ્યમંત્રીએ ગૌરવભેર જણાવ્યું હતું.
મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલે ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી રહેલા યુવાઓને અભ્યાસ દરમિયાન પ્રાપ્ત કરેલા જ્ઞાન, કૌશલ્ય અને વૈશ્વિક અનુભવ ભવિષ્યમાં રાષ્ટ્ર પ્રથમના ભાવ સાથે અગ્રેસર રહેવા અનુરોધ કર્યો હતો.
