મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજીથી ઉમરગામ સુધીના રસ્તાઓ માટે રૂ.362 કરોડ મંજૂર કર્યા
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપતાં ગામડાઓ સુધી પાયાની સુવિધાઓને વધુ સુલભ બનાવવા માટેનો એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં આદિજાતિ વિસ્તારોના ગામોની શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને પાકા રસ્તાઓથી જોડવા માટે 325.81 કિ.મી. લંબાઈના કામો તેમજ સ્ટ્રકચર નિર્માણના કામો મળીને 293 કામો માટે કુલ 362.57 કરોડ મંજૂર કર્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલી વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત આદિજાતિ સમુદાયોને શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભૂત સેવાઓ સરળ અને સમયસર પહોંચે તે સુનિશ્ચિત કરવાના હેતુસર મુખ્યમંત્રીએ આ કામો મંજૂર કર્યા છે.
આદિજાતિ વિસ્તારોમાં નવા રસ્તાઓનું નિર્માણ થવાથી વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવામાં સરળતા થશે. એટલું જ નહીં પણ આકસ્મિક પરિસ્થિતિમાં દર્દીઓને નજીકના આરોગ્ય કેન્દ્ર સુધી ઝડપથી પહોંચાડી શકાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ પહેલથી આદિજાતિ વિસ્તારોમાં વિકાસના નવા દ્વાર ખુલતા "સબકા સાથ, સબકા વિકાસ”નો ધ્યેય પણ સાકાર થશે.
