મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગર શહેર અને જિલ્લાને 575.99 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ અર્પણ કરી
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગર શહેર અને જિલ્લાનાં કુલ 575.99 કરોડ રૂપિયાના જનસુખાકારીનાં વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ હતુ. મુખ્યમંત્રીએ રવિવારે, વિદ્યાનગર વિસ્તારમાં નિર્માણાધીન નવી કલેક્ટર કચેરી ખાતે વિધિવત પૂજન કરી ખાતમુહૂર્ત કર્યુ હતુ, ત્યારબાદ ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે તેમનાં હસ્તે વિવિધ વિભાગોના વિકાસ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ.
મુખ્યમંત્રીએ તેમનાં પ્રેરક ઉદબોધનમાં કહ્યુ હતુ કે દેશ અને દુનિયામાં ગુજરાત મોડેલની ચર્ચા થઇ રહી છે તે સિદ્ધિ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને આભારી છે. આદરણીય પ્રધાનમંત્રીના વિઝનનો લાભ ગત બે દાયકાથી ગુજરાતને મળી રહ્યો છે.
આજે કરોડ, બે કરોડ કે પાંચ કરોડ રૂપિયાના વિકાસકામોની વાત લોકો માટે સામાન્ય થઇ ગઇ છે, કારણ કે વિકાસ કામો માટે પૈસાની કોઈ મુશ્કેલી રહી નથી અને ગુણવત્તાયુક્ત કામો થાય છે.આવતીકાલે ભગવાન શ્રીરામ 500 વર્ષ પછી મંદિરમાં બિરાજમાન થશે. આજે આપણે રામમય બન્યા છીએ ત્યારે પ્રભુ શ્રીરામના કર્તવ્યપાલનના ગુણને પણ જીવનમાં ઉતારીએ તેવી હર્દય સ્પર્શી અપિલ મુખ્યમંત્રીશ્રીએ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ બે દાયકા પહેલાં 2003માં 'વાયબ્રન્ટ ગુજરાત' સમિટની શરુઆત કરી તે સમયનાં તેમનાં વિઝનને આજે દેશ અને દુનિયા સ્વીકારી રહ્યાં છે.તે સમયે જ્યારે દેશ વૈશ્વિક સ્તરે હરિફાઇમાં નહોતો ત્યારે ગુજરાત વૈશ્વિક સ્તરે હરિફાઇમાં હતું.વિશ્વભરમાં લોકો આજે ભારત તરફ મીટ માંડે છે તે પ્રધાનમંત્રીની દૂરંદેશીને આભારી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઇ મોદીએ આપેલા નવ સંકલ્પો સ્વચ્છતા, સ્વાસ્થ્ય ,યોગ,સ્પોર્ટ્સ, ડિજિટલ પેમેન્ટ, વ્યસનમુક્તિ, સ્વદેશી ઉત્પાદનોનો આગ્રહ, મિલેટ શ્રી અન્નને પ્રોત્સાહન વગેરે બાબતોને જીવનનું અભિન્ન અંગ બનાવવા તેમણે અપિલ કરી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિકાસની સાથે વિરાસત અને સંસ્કૃતિનું પણ જતન કરીને વિકસિત ભારત અને વિકસિત ગુજરાત માટે સૌને સાથે મળી કાર્યરત થવા આહવાન કર્યું હતું.
પ્રભારી સચિવ અને રાહત કમિશનર આલોકકુમાર પાંડેએ કહ્યું હતુ કે, સામાન્ય માણસોને પડતી અગવડોનેને સગવડ અને સુવિધામાં રૂપાંતરિત કરવામાં ગુજરાત સરકાર અગ્રેસર છે. નવી કલેકટર કચેરી બનતા તમામ મહેસૂલી સુવિધાઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે, જેના કારણે લોકોને સરકારી કામગીરીમાં ઘણી સરળતા રહેશે. જિલ્લામાં કલેકટરના માર્ગદર્શન હેઠળ તમામ લાઈન ડિપાર્ટમેન્ટ સારી કામગીરી કરી રહ્યા છે, જેનું પ્રતિબિંબ જિલ્લાના વિકાસમાં જોવા મળી રહ્યું છે.
ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલી વિકાસ યાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અવિરત રાખી છે. ભાવનગર માટે જીવાદોરી સમાન રિંગરોડની ભેટ આપવા બદલ હું મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરું છું અને ઋણસ્વીકાર કરું છું.
આ પ્રસંગે ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, સેજલબેન પંડ્યા, ગૌતમભાઈ ચૌહાણ, શિવાભાઈ ગોહિલ, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેન મીયાણી, ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા, જિલ્લા કલેકટર આર.કે.મહેતા, રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર,મહાનગરપાલિકા કમિશનર એન.વી.ઉપાધ્યાય, પ્રાદેશિક નગરપાલિકાના કમિશ્નર જી.એચ.સોલંકી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.પ્રશાંત જિલોવા , મહારાજા કૃષણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર એમ.એમ.ત્રિવેદી, સ્થાનિક આગેવાનો અભયસિંહ ચૌહાણ, રાઘવજીભાઈ મકવાણા સહિતના મહાનુભાવો,અધિકારીઓ અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
