મ્યુનિસિપલ કમિશનર જે. કે. જાદવના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓ અને પદાધિકારીઓની બેઠક યોજાઈ
Live TV
-
પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરની સાથે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કક્ષાએ પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે.
આ કાર્યક્રમોની પૂર્વતૈયારી અને સુચારુ આયોજન માટે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર જે. કે. જાદવના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ ખાતે વિવિધ શાખા અધિકારીઓ, મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર રાકેશભાઈ રાઠોડ, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નીખિલભાઈ ચાંપાનેરી તેમજ શાસક પક્ષના નેતા તથા નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા તથા શહેર પ્રમુખ દેવાંગભાઈ રાવલ, વિપુલભાઈ ચૌહાણ અને જયભાઈ શાહ સહિતના પદાધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં સોંપાયેલી જવાબદારીઓ અને કાર્યક્રમોના સફળ અમલીકરણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તા. 05 /06/2026 થી તા. 21 /06/2026દરમિયાન મહાનગરપાલિકા કક્ષાએ આ ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમોનું આયોજન અને સંકલન યોગ્ય રીતે થાય તેમજ રાજ્ય સરકારમાં તેનું સમયસર રિપોર્ટિંગ થઈ શકે તે હેતુથી તમામ અધિકારીઓને સોંપાયેલી કામગીરી સમયબદ્ધ રીતે પૂર્ણ કરવા મ્યુનિસિપલ કમિશનર દ્વારા તાકીદ કરવામાં આવી હતી.નાયબ મુખ્ય દંડકે આગામી કાર્યક્રમોને સફળ બનાવવા માટે 'માઇક્રો મેનેજમેન્ટ' પર ભાર મૂક્યો હતો. તેમણે અધિકારીઓને દરેક કાર્યક્રમના ઝીણવટભર્યા આયોજન અને દરેક સ્તરે 'મહત્તમ લોકભાગીદારી' સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપ્યું હતું. સરકારની સિદ્ધિઓ શહેરીજનો સુધી પહોંચે તે માટે સઘન પ્રયાસો કરવા અધિકારીઓને પ્રોત્સાહિત કર્યા હતા.આ બેઠકમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર આર. બી.પટેલ, સિટી ઈજનેર કે. આર. ચૌહાણ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
