રાજ્યના કૃષિ મંત્રીના હસ્તે જામનગરના વિવિઘ ગામોમાં રૂ.9 કરોડ 50 લાખથી વધુના ખર્ચે વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહર્ત કરાયું
Live TV
-
રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર જિલ્લાના વિવિઘ ગામોમાં રૂ.9 કરોડ 50 લાખથી વધુના ખર્ચે વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. રાઘવજી પટેલે રૂ.5.50 કરોડના ખર્ચે નિર્માણ થનાર જામવંથલી- ઊંડ 1 ડેમ એપ્રોચ રોડના વિકાસ કાર્યનું ખાતમુહર્ત કર્યું હતું. 6.50 કિમીની લંબાઈ ધરાવતા નવા રોડનું નિર્માણ કરવામાં આવશે.
તેમજ નંદપુર- ગાયત્રીનગર- વીરપર રોડ પર રૂ.125 લાખના ખર્ચે 7 મીટરના 8 ગાળાના માઈનોર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. ઉપરાંત, જામનગર તાલુકાના નંદપર- બજરંગપુર ગામ વચ્ચે રૂ.3 કરોડના ખર્ચે 5.50 કિમીની લંબાઈ ધરાવતા નવનિર્મિત સીસી રોડનું કેબિનેટ મંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કૃષિમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ''નંદપર- ગાયત્રીનગર- વીરપર ગામ વચ્ચે પાકો રોડ બન્યો હોવાથી ચોમાસાની ઋતુમાં ગ્રામજનોને અવર-જવર કરવામાં સરળતા રહેશે. તેમજ માઈનોર બ્રીજની સુવિધાથી આજુબાજુના ગામોમાં ગ્રામજનો જલ્દીથી પહોંચી શકશે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના સુચારુ માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લામાં અનેકવિધ વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે. તેમજ લોકપ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવા માટે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર કાર્યરત છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ અનેકવિધ વિકાસકાર્યો સમગ્ર જામનગર જિલ્લામાં હાથ ધરવામાં આવ્યા છે.'' નંદપર, ગાયત્રીનગર અને વીરપર- આ ત્રણ ગ્રામ પંચાયતો દ્વારા સંયુક્તપણે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મંચસ્થ મહેમાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરીને તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
