રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ લાઠી ખાતેના સંતોકબા મેડિકલ સેન્ટરની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓનું કર્યું નિરીક્ષણ
Live TV
-
અમરેલી તા.30 સપ્ટેમ્બર, 2025 - રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અમરેલી જિલ્લાના પ્રવાસ દરમિયાન આજે લાઠી ખાતે રાહત દરે આરોગ્ય સેવાઓ પૂરી પાડતાં સુવિધાસભર સંતોકબા મેડિકલ સેન્ટરની મુલાકાત લઈને તેમના દ્વારા આપવામાં આવતી આરોગ્ય સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું.
રાજ્યપાલએ આરોગ્ય કેન્દ્રની મુલાકાત દરમિયાન લેબોરેટરી, એક્સ રે, ઓ.પી. ડી. રૂમ, ફિઝિયોથેરાપી સહિતના વિભાગની આરોગ્ય સેવાઓની પ્રત્યક્ષ વિગતો જાણી હતી, સાથે જ દર્દીઓ અને તબીબી સ્ટાફના પ્રતિભાવો મેળવી, તેમને પ્રોત્સાહિત કર્યા હતા. રાજ્યપાલએ પ્રસાદ સેવા પૂરી પાડતાં રસોડા વિભાગના કર્મચારીઓ સાથે પણ મુલાકાત કરીને તેમના સેવાકીય કાર્યને બિરદાવી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
રાજ્યપાલને સંતોકબા લાલજી દાદા ધોળકિયા વેલ્ફેર ટ્રસ્ટના મોભી રાકેશભાઈ ધોળકિયાએ આ આરોગ્યની કેન્દ્રની સેવાઓથી અવગત કર્યા હતા. વધુમાં રાજ્યપાલએ રાહત દરે ગ્રામીણ વિસ્તારના લોકોને આરોગ્ય સેવાઓ પૂરી પાડવા બદલ ટ્રસ્ટી મંડળને અભિનંદન પાઠવ્યા હતા.આ તકે જિલ્લા કલેકટર વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત, પદ્મ શ્રી સવજીભાઈ ધોળકિયા, પ્રાંત અધિકારી બ્રહ્મભટ્ટ, ટ્રસ્ટી સર્વ ભાવેશભાઈ લાઠીયા, ઘનશ્યામભાઈ શંકર, કારોબારી સમિતિના સભ્યઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
