રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં ગૂજરાત વિદ્યાપીઠ ખાતે ગાંધી જયંતીની ઉજવણી
Live TV
-
ગૂજરાત વિદ્યાપીઠ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં 156મી ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી. રાજ્યપાલશ્રીએ શ્રમદાન અને ખાદીની ખરીદી કરી સ્વચ્છતા તથા સ્વદેશીનો સંદેશ આપ્યો,જ્યારે મંત્રીએ યુગાનુકુળ સ્વદેશીથી આત્મનિર્ભર અને વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ વ્યક્ત કર્યો.
ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા રાજ્યના ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ સ્થિત ગુજરાત વિદ્યાપીઠ ખાતે 156મી ગાંધી જયંતીની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી. આ પ્રસંગે રાજ્યપાલ તથા મંત્રીએ વિદ્યાપીઠ પરિસરમાં શ્રમદાન કર્યું અને ડિજિટલ પેમેન્ટથી ખાદીની ખરીદી કરીને સ્વદેશી અપનાવવાનો સંદેશ આપ્યો. આ અવસરે રાજ્યપાલે સૌને વિજયાદશમીની શુભકામનાઓ પાઠવી હતી અને ગાંધીજી તથા લાલ બહાદુર શાસ્ત્રીજીના જીવન આદર્શોને યાદ કર્યા હતા. તેમણે સાથે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે તેના રાષ્ટ્રનિર્માણમાંના યોગદાનને પણ બિરદાવ્યા હતા.
રાજ્યપાલે સૌને વિજયાદશમીની શુભકામનાઓ પાઠવી અને મહાત્મા ગાંધી તથા લાલ બહાદુર શાસ્ત્રીના આદર્શોનું સ્મરણ કર્યું. તેમણે જણાવ્યું કે, ગાંધીજીના જીવન મૂલ્યો આજે પણ એટલા જ પ્રસ્તુત અને પ્રેરણાદાયી છે તેમણે ઉમેર્યું કે, “સ્વચ્છતા, સ્વાવલંબન અને સ્વદેશીનો સંકલ્પ ભારતની ઉન્નતિનો આધાર બનશે.” અંગ્રેજોની ગુલામી સામે ગાંધીજીની લડતની ચર્ચા કરતાં તેમણે કહ્યું કે, બાપુએ સ્વદેશી અને સ્વાવલંબનને હથિયાર બનાવી દેશને એકતામાં બાંધ્યો હતો. દેશનું ધન દેશમાં જ રહે અને રોજગારી પેદા થાય તે માટે બાપુએ કુટીર ઉદ્યોગો પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એ જ વિચારને આગળ ધપાવતા ‘મેક ઇન ઇન્ડિયા’, ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ જેવી પહેલો અમલમાં મૂકી છે.
રાજ્યપાલે કહ્યું કે, “સ્વચ્છતા, સ્વાવલંબન અને સ્વદેશીનો આપણો સંકલ્પ ભારતની ઉન્નતિનો આધાર બનશે.” તેમણે ઉમેર્યું કે, આજે દેશ સંરક્ષણ, ઉર્જા અને કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભર બન્યો છે.પ્રધાનમંત્રીના પ્રયત્નોથી કચરાના પહાડમાંથી પણ વીજળી અને ખાતરનું ઉત્પાદન થતું થયું છે, જે વિશ્વસ્તરે ભારતનું ગૌરવ વધારતું બન્યું છે.
શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, 1905માં શરૂ થયેલી સ્વદેશી ચળવળને મહાત્મા ગાંધીજીએ જનઆંદોલનમાં ફેરવી હતી. “દેશના પાયા સ્વાભિમાન, સ્વાવલંબન અને સ્વદેશી હશે તો કોઈ તાકાત દેશની એકતાને તોડી શકશે નહીં,” એમ તેમણે કહ્યું. મંત્રીએ સૌને યુગાનુકુળ સ્વદેશી અપનાવવાનો સંકલ્પ લેવડાવ્યો.
કાર્યક્રમમાં ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી અને પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ ગાંધીજી અને શાસ્ત્રીજીને યાદ કરી સ્વદેશી તથા ‘મેક ઇન ઇન્ડિયા’ની મહત્તા પર પ્રકાશ પાડ્યો. તેમણે વ્યસનમુક્તિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી અને સમાજને વ્યસનથી દૂર રહેવા અનુરોધ કર્યો.
ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદ પટેલે આગામી સંકલ્પ સ્વદેશી પદયાત્રા અંગે માહિતી આપી. આ પદયાત્રા દરમિયાન વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ 18 હજાર ગામોમાં ‘હર ઘર સ્વદેશી’નો સંદેશ પહોંચાડશે.
આ પ્રસંગે ટ્રસ્ટીગણ, પ્રાધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
