'રાષ્ટ્રીય એકતા દિવસ'ની તૈયારીઓ પૂરજોશમાં: દૂરદર્શનની ટીમ દ્વારા સ્થળ નિરીક્ષણ
Live TV
-
એકતાનગર (નર્મદા): આગામી 31 ઓક્ટોબર, 2025 ના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી માટે એકતાનગર ખાતે પૂર્વ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
આ રાષ્ટ્રીય-રાજ્યસ્તરીય કાર્યક્રમને ધ્યાનમાં રાખીને, આજ રોજ દૂરદર્શન કેન્દ્ર અમદાવાદની ટીમે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ, ઇલેક્ટ્રિકલ ઇજનેર અને સ્થાનિક અધિકારીઓ સાથે પરેડ ગ્રાઉન્ડ અને સરદાર સરોવર નર્મદા ડેમના વ્યુ પોઇન્ટ–1ની મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
સ્થળ નિરીક્ષણ દરમિયાન, દૂરદર્શનની ટીમે મુખ્ય કાર્યક્રમના સ્ટેજ કવરેજ, સાંસ્કૃતિક કાર્યક્રમો, પરેડનું આગમન અને માનનીય પ્રધાનમંત્રીશ્રીના સંબોધનના અસરકારક પ્રસારણ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. પરેડનું આબેહૂબ જીવંત પ્રસારણ મહત્તમ લોકો જોઈ શકે તે માટે કેમેરા એંગલ અને લાઈવ ટેલિકાસ્ટની વિગતવાર યોજના તૈયાર કરવામાં આવી હતી.
માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ સ્થળની સુવિધાઓ, મંચ, બેઠક વ્યવસ્થા અને સુરક્ષા અંગે માહિતી આપી હતી. નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ વિવિધ વિભાગો વચ્ચે સંકલન પ્રક્રિયા સઘન બનાવવામાં આવી છે, જેથી સરદાર સાહેબની 150મી જન્મજયંતિનું આયોજન સફળ અને ગૌરવપૂર્ણ બની શકે.મુલાકાત વેળાંએ દૂરદર્શન કેન્દ્ર અમદાવાદના નાયબ નિયામક સત્યેન ગોવારે, નોડલ ઓફિસર પ્રભાકર વારસનેય સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
