વિકસિત ભારત સંકલ્પ યાત્રા નાનામાં નાના-છેવાડાના માનવીને વિકાસની યાત્રામાં જોડીવાનું સક્ષમ માધ્યમઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
Live TV
-
સૌના પ્રયાસના મંત્રથી પ્રધાનમંત્રીએ વિકાસના નવા અવસરો દેશમાં આપ્યા છે: મુખ્યમંત્રી
15મી નવેમ્બરથી દેશવ્યાપી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ શરૂ કરાવી છે. જે અતર્ગત ગાંધીનગર જિલ્લાના લવારપુર ખાતે મુખ્યમંત્રી સહભાગી થયા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો કે, છેવાડાના નાનામાં નાના માનવીને વિકાસની યાત્રામાં જોડીને વિકસિત ભારત@2047નો વડાપ્રધાનશ્રીનો સંકલ્પ પાર પાડવામાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ સક્ષમ માધ્યમ બનશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીએ સરકારની કલ્યાણકારી યોજનાઓ જન-જન સુધી પહોંચાડવા તથા 100 ટકા સેચ્યુરેશનનો વિચાર સાકાર કરવા તા. 15મી નવેમ્બરથી દેશવ્યાપી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ શરૂ કરાવી છે.
ગુજરાતભરમાં આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાને જ્વલંત પ્રતિસાદ મળી રહ્યો છે અને કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાઓના લાભ સરકાર સામે ચાલીને લોકોને આપવા જાય છે જેનાથી સુશાસનથી સેવાનો સંકલ્પ ચરિતાર્થ થઈ રહ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં શનિવારે ગાંધીનગર જિલ્લાના લવારપુર ખાતેથી સહભાગી થયા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લવારપુરમાં આ યાત્રાના સભા મંડપમાં ઉપસ્થિત ગ્રામજનોની વચ્ચે સ્વજનની જેમ પહોંચી ગયા હતા અને બાળકો, મહિલાઓ, યુવાનો તથા વડીલ વૃદ્ધો સાથે સહજ સંવાદ કર્યો હતો. તેમણે સંકલ્પ યાત્રા રથનું નિરીક્ષણ તેમજ રાજ્ય સરકારના વિવિધ વિભાગોની યોજનાલક્ષી માહિતી આપતા સ્ટોલ્સની મુલાકાત લીધી હતી.
આગામી તા. 26 જાન્યુઆરી 2024 સુધી યોજાનારી આ વિકસિત ભારત સંક્લપ યાત્રામાં રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, વિધાનસભાના ઉપાધ્યક્ષ, દંડક, નાયબ દંડક સહિતના પદાધિકારીઓ વિવિધ જિલ્લાઓમાં જોડાઈને સરકારની યોજનાઓના લાભ લાભાર્થીઓને હાથોહાથ પહોંચાડશે.
મુખ્યમંત્રીએ લવારપુરમાં આ યાત્રામાં જોડાયેલા ગ્રામજનોને સંબોધન કરતા કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ સેચ્યુરેશન પોઇન્ટનો એવો નવતર અભિગમ અપનાવ્યો છે કે, જનકલ્યાણ યોજના બને ત્યારથી માંડીને લાભાર્થી સુધી 100ટકા પહોંચે છે. જરૂરતમંદ લોકોને હવે વિલંબ વિના લાભ મળતા થયા છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, હવે સૌના સાથ - સૌના વિકાસ - સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રથી વડાપ્રધાનશ્રીએ જનહિતકારી અનેક યોજનાઓથી દેશમાં વિકાસના અપાર અવસરો ખોલ્યા છે. વડાપ્રધાનશ્રી દરેક યોજનાનાં કેન્દ્રમાં નાના-ગરીબ-વંચિત અને છેવાડાના માનવીના કલ્યાણનો જ ધ્યેય રાખે છે. માસ સ્કેલની યોજનાઓ તેમની વિઝનરી લીડરશીપ અને દીર્ઘદ્રષ્ટિથી સફળતા પામી છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીના હસ્તે ગામના રમતવીરોનું સન્માન તથા યોજનાના લાભાર્થીઓને પ્રતિકરૂપે વિતરણ કરવામાં આવ્યું હતું.
ગાંધીનગર જિલ્લામાં આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અત્યાર સુધીમાં 4 તાલુકાના 57 ગામોમાં સંપન્ન થઈ છે. 30 હજારથી વધુ ગ્રામીણ નાગરિકો તેમાં ઉત્સાહભેર જોડાયા છે તેમજ ૨૪ હજારથી વધુ લોકોએ આરોગ્ય કેમ્પનો લાભ મેળવ્યો છે. 29 હજાર જેટલા લોકોએ વિકસિત ભારત માટે સંકલ્પ-પ્રતિજ્ઞા લીધી છે. એટલું જ નહીં, ડ્રોન દ્વારા દવા છંટકાવની પદ્ધતિનું નિરીક્ષણ ૧૮ ગામોમાં કરાયું છે. આયુષ્માન ભારત કાર્ડ, પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને સમજ આપવા સહિતના વિવિધ જનહિત કાર્યક્રમો સફળતાથી પાર પડ્યા છે.
આ યાત્રા પ્રસંગે અમદાવાદના પૂર્વના સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, ગાંધીનગર (દક્ષિણ) ના ધારાસભ્ય શ્રી અલ્પેશ ઠાકોર, ગાંધીનગર (ઉત્તર) ના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, અગ્ર સચિવ શ્રી મોના ખંધાર, અધિક વિકાસ કમિશનર ડૉ. ગૌરવ દહિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ અનિલભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર હિતેશ કોયા, જિલ્લા વિકાસ અધિકારી સુરભી ગૌતમ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
