વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના નેતૃત્વમાં થરાદના આઇકોનિક રોડ પર દેશભક્તિમય ફ્લેગ માર્ચ
Live TV
-
વાવ-થરાદ જિલ્લામાં 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વની ઉજવણીને શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સુનિશ્ચિત કરવા થરાદ શહેરના આઇકોનિક રોડ પર પોલીસ વિભાગ દ્વારા ભવ્ય ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગ માર્ચ ગૌ માતાના સર્કલથી પ્રારંભ થઈ નર્મદા નહેર કેનાલ ખાતે સમાપન થઈ હતી. આ ભવ્ય ફ્લેગ માર્ચ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
આઇકોનિક રેલી દરમિયાન અશ્વ દળ તથા બાઇક સવારોના રોમાંચક સ્ટન્ટ્સ દર્શકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. ચેતક કમાન્ડો, ટ્રાફિક જવાન પ્લાટુન, બાળક પરેડ, હોમગાર્ડ યુનિટ, પોલીસ બયુગલ પ્લાટુન, મહિલા પોલીસ પ્લાટુન તેમજ NCC અને સૈનિક સ્કૂલના પ્લાટુન જેવી વિવિધ ટુકડીઓ વચ્ચે અશ્વ દળના શક્તિશાળી અને શાનદાર ઘોડાઓની ગતિમાન પરેડ તથા બાઇક સવારોના ઉડાઉ અને રોમાંચક કરતબોએ આઇકોનિક રોડને ઉત્સાહ અને રોમાંચથી છલકાવી દીધો હતો. હજારો નાગરિકોએ તાળીઓના ગડગડાટથી આ તમામને વધાવ્યા હતા.
ફ્લેગ માર્ચ દરમિયાન પોલીસ જવાનોની શિસ્તબદ્ધ કૂચ, તિરંગા સાથેની ગૌરવસભર હાજરી તથા કડક કાયદો-વ્યવસ્થાની ઝલકથી સમગ્ર વિસ્તારમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનો માહોલ સર્જાયો હતો. સાથે જ ડીજે સાઉન્ડ સિસ્ટમ પર ગુંજતા દેશભક્તિના ગીતોએ સમગ્ર માર્ગ પર ઉત્સાહ અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ પ્રબળ બનાવી હતી. માર્ગની બન્ને બાજુ ઊભા રહેલા નાગરિકોએ દેશભક્તિના નારા લગાવી પોલીસ જવાનોને ઉત્સાહપૂર્વક અભિવાદન આપ્યું હતું. નાના બાળકો, યુવાનો તથા વડીલો સહિત તમામ વર્ગના નાગરિકોમાં વિશેષ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો.આ ફ્લેગ માર્ચ દ્વારા જાહેર જનતામાં શાંતિ, સલામતી અને વિશ્વાસનો સ્પષ્ટ સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો. પ્રજાસત્તાક પર્વ પૂર્વે યોજાયેલી આ કામગીરીથી નાગરિકોમાં સુરક્ષાની લાગણી વધુ મજબૂત બની હતી તથા રાષ્ટ્રીય તહેવારની ઉજવણી માટે સકારાત્મક અને દેશભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, સરહદી વિસ્તારના પ્રજાજનોની દેશભક્તિ અને સતર્કતા આજે સ્પષ્ટ રીતે જોવા મળી છે. ગુજરાત પોલીસ, જિલ્લા પોલીસ અને વહીવટી તંત્રે નવા અભિગમ સાથે યોજેલી પ્રજા અવેરનેસ ફ્લેગ માર્ચમાં લાખોની સંખ્યામાં લોકો જોડાયા તે પ્રશંસનીય છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જણાવ્યા મુજબ સરહદી વિસ્તારના નાગરિકો જેટલા દેશભક્ત અને જાગૃત હશે, તેટલી દેશની સીમાઓ સુરક્ષિત રહેશે. થરાદના પ્રજાજનો તિરંગાથી ગામ શણગારિને દેશપ્રેમ વ્યક્ત કરી રહ્યા છે. ૨૫મી તારીખે મુખ્યમંત્રી અને રાજ્યપાલના આગમનને લઈને સમગ્ર વિસ્તાર ઉત્સાહથી ભરાયો છે. આ ઐતિહાસિક અવસર છે, આવો, દેશભક્તિના રંગમાં રંગાઈને મા ભારતીનું ગૌરવ વધારીએ.
