શનિવાર અને રવિવારે એલઆઈસીની ઓફિસો ખુલ્લી રહેશે
Live TV
-
જાહેર ક્ષેત્રની વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એલઆઈસી)ની ઓફિસો 30 અને 31 માર્ચે ખુલ્લી રહેશે.
એલઆઈસી એ શુક્રવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તે કરદાતાઓને ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના અંત પહેલા કર બચત પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સુવિધા આપવા માટે 30 અને 31 માર્ચે તેની ઓફિસો ખુલ્લી રાખશે. વીમા કંપની એલઆઈસીનું આ પગલું બેંકોની એ જાહેરાત બાદ આવ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું હતું કે તેમની શાખાઓ શનિવાર અને રવિવારે ખુલ્લી રહેશે.
જાહેર ક્ષેત્રની વીમા કંપનીએ કહ્યું કે, વીમા નિયમનકાર આઈઆરડીએઆઈ ની સલાહ મુજબ, એલઆઈસી એ આ વિશેષ પગલાને પોલિસી ધારકો સુધી વિસ્તાર કરવાનો નિર્ણય કર્યો છે. એલઆઈસી અનુસાર, પોલિસી ધારકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે, 'ઝોન' અને ડિવિઝનના અધિકારક્ષેત્ર હેઠળની ઑફિસો 30 અને 31 માર્ચે સત્તાવાર કામકાજના કલાકો સુધી સામાન્ય કામગીરી માટે ખોલવામાં આવશે.
નોંધનીય છે કે, ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ બેંકોને તેમની નિયુક્ત શાખાઓ 30 માર્ચ અને 31 માર્ચ, 2024 ના રોજ સામાન્ય કામકાજના કલાકો સુધી સરકારી વ્યવહારો માટે ખુલ્લી રાખવાનો નિર્દેશ આપ્યો છે.
