સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા મિશન વાત્સલ્ય હેઠળ એક દિવસીય ‘બાળ સુરક્ષા’ વર્કશોપનું આયોજન
Live TV
-
સામાજિક ન્યાય અધિકારીતા અને બાળ વિકાસ મંત્રી ભાનુ બાબરિયાના અધ્યક્ષસ્થાને તેમજ સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ભીખુંસિંહ પરમારની ઉપસ્થિતિમાં આજે સમાજ સુરક્ષા પ્રભાગ, ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેકશન સોસાયટી અને સ્ટેટ અડોપ્શન રિસોર્સ એજન્સી (SARA) દ્વારા સંયુક્ત રીતે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટિ-GNLU ગાંધીનગર ખાતે મિશન વાત્સલ્ય હેઠળ ‘બાળ સુરક્ષા’ વિષયક એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
સામાજિક ન્યાય, અધિકારીતા અને બાળ વિકાસ મંત્રી ભાનુ બાબરિયાએ એક દિવસીય વર્કશોપમાં તાલીમાર્થીઓને સંબોધતાં કહ્યું હતું કે, કાયદા સાથે સંપર્ક અને સંઘર્ષમાં આવતા બાળકોના સર્વોત્તમ હિતને ધ્યાને રાખીને આવા બાળકોને સમાજના મુખ્ય પ્રવાહમાં પુન:સ્થાપિત કરવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. આ પ્રક્રિયામાં ચાઈલ્ડ વેલ્ફેર કમિટી અને જુવેનાઈલ જસ્ટિસ બૉર્ડ રાજ્યમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.
બાળકોની સુરક્ષા અને સર્વાંગી વિકાસ માટે ‘મિશન વાત્સલ્ય યોજના’ અંતર્ગત સમાજ સુરક્ષા પ્રભાગ, ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટી અને જિલ્લા સ્તરે દરેક જિલ્લા બાળ સુરક્ષા એકમ, ચાઈલ્ડ વેલ્ફેર કમિટી, જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ દ્વારા બાળ સુરક્ષા વિષયક નોંધપાત્ર કામગીરી ક૨વામાં આવે છે. આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય બાળ કલ્યાણ સમિતિના સભ્યો અને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના સભ્યોમાં બાળ અધિકાર આધારિત અભિગમ અપનાવવા તેમજ બાળ મૈત્રીપૂર્ણ વાતાવરણ પરત્વે વધુ સંવેદનશીલતા લાવી બાળ સુરક્ષાના વિષયોમાં જાગૃતિ લાવવાનો છે તેમ, મંત્રી એ જણાવ્યું હતું.
મંત્રી ભાનુબેને વધુમાં જણાવ્યું હતું કે, હાલ ગુજરાતમાં 120 બાળ સંભાળ સંસ્થાઓમાં 3076 જેટલા બાળકો સંસ્થાકીય સંભાળ હેઠળ આશ્રય લઇ રહ્યા છે. જ્યાં આ બાળકોને જીવન જરૂરી તમામ ચીજ-વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે. આ બાળકોના શિક્ષણ, આરોગ્ય ઉપરાંત સર્વાંગી વિકાસને કેન્દ્ર સ્થાને રાખીને વિવિધ પ્રકારના કાર્યક્રમો અને રચનાત્મક પ્રવૃતિઓ પણ કરવામાં આવે છે. વિવિધ બાળ સંભાળ સંસ્થાઓમાં આશ્રય લઇ રહેલ અનાથ અને ત્યજાયેલ બાળકોને બાળ કલ્યાણ સમિતિ દ્વારા તેમના ઉજ્જવળ ભવિષ્ય અને શ્રેષ્ઠ હિતાર્થે રાજ્યની 16 વિશિષ્ટ દત્તક સંસ્થાઓ પણ કાર્યરત છે. સમયાંતરે જરૂરીયાત જણાય ત્યાં બાળકોનું કાઉન્સેલિંગ કરી સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા સરકાર દ્વારા અથાગ તેમજ સંવેદનશીલ પ્રયત્ન કરવામાં આવે છે.
વર્કશોપમાં બાળ અધિકારો, સંરક્ષણ અને બાળ સુરક્ષા વિશે સમજૂતી, બાળ કલ્યાણ સમિતિ અને જુવેનાઈલ બોર્ડની ભૂમિકા અને કાર્યો, જુવેનાઈલ જસ્ટિસ એક્ટ, 2015 અને અમેડમેન્ટ, 2021ની મુખ્ય લાક્ષણિકતાઓ, અડોપ્શન રેગ્યુલેશન, 2022ની મુખ્ય લાક્ષણિકતાઓ તેમજ બાળ સુરક્ષામાં ઉદભવતા પ્રશ્નો અને નિરાકરણ જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. આ એક દિવસીય વર્કશોપમાં રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમા ફરજ બજાવતા બાળ કલ્યાણ સમિતિના તમિલાર્થીઓએ ભાગ લીધો હતો.
