સુરતના સરથાણા ઓપન ઝૂમાં એક જ વર્ષમાં 9.50 લાખ લોકોએ મુલાકાત લીધી
Live TV
-
આધુનિકતા અને ગ્લેમરની દોડ વચ્ચે સુરતીઓ હવે પ્રકૃતિ તરફ વળી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્ક માત્ર સુરત જ નહીં, પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતનું ફેવરિટ પિકનિક સ્પોટ બની ગયું છે. તાપી નદીના કિનારે ૮૧ એકરની વિશાળ જગ્યામાં ફેલાયેલા આ ઓપન ઝૂએ લોકપ્રિયતાના તમામ જૂના રેકોર્ડ ધ્વસ્ત કરી દીધા છે. ગત વર્ષે અહીં સાડા નવ લાખથી વધુ પ્રવાસીઓ નોંધાયા છે, જેનાથી સુરત પાલિકાની તિજોરીમાં રૂપિયા 2.57ની ઐતિહાસિક આવક થઈ છે.
આધુનિકતા અને ગ્લેમરની દોડ વચ્ચે સુરતીઓ હવે પ્રકૃતિ તરફ વળી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા (SMC) સંચાલિત સરથાણા નેચર પાર્ક માત્ર સુરત જ નહીં, પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતનું ફેવરિટ પિકનિક સ્પોટ બની ગયું છે. તાપી નદીના કિનારે ૮૧ એકરની વિશાળ જગ્યામાં ફેલાયેલા આ ઓપન ઝૂએ લોકપ્રિયતાના તમામ જૂના રેકોર્ડ ધ્વસ્ત કરી દીધા છે. ગત વર્ષે અહીં સાડા નવ લાખથી વધુ પ્રવાસીઓ નોંધાયા છે, જેનાથી સુરત પાલિકાની તિજોરીમાં ₹૨.૫૭ કરોડની ઐતિહાસિક આવક થઈ છે.
ઓપન ઝૂનો રોમાંચ અને કાળઝાળ ગરમીમાં કુદરતી ઠંડક
સરથાણા નેચર પાર્કની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીં દીપડા અને પક્ષીઓ સિવાયના તમામ હિંસક અને તૃણાહારી વન્યજીવો પાંજરા વિના, ખુલ્લા એન્ક્લોઝરમાં મુક્તપણે ફરે છે. વન્યજીવોને આ રીતે મુક્ત જોવાનો રોમાંચ પ્રવાસીઓને ખેંચી લાવે છે. આ પાર્કમાં હાલ ૫૪ પ્રજાતિના વન્યજીવો વસવાટ કરે છે. આ સિવાય પાર્કની ઘટાદાર વૃક્ષરાજી એટલી અદ્ભુત છે કે તે ભરઉનાળે પણ લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત આપી કુદરતી ઠંડકનો અહેસાસ કરાવે છે. અહીં એશિયાટિક સિંહ, રોયલ બેંગોલ ટાઇગર અને અત્યંત દુર્લભ સફેદ મોર આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે.જળબિલાડીઓના સફળ સંવર્ધનમાં સુરત ઝૂ દેશમાં મોખરે
સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી (CZA) ની ગાઇડલાઇન્સ હેઠળ ચાલતા આ પાર્કે વન્યજીવ સંરક્ષણમાં મોટી સિદ્ધિ મેળવી છે:વૈજ્ઞાનિક બ્રીડિંગ: અહીં હિપ્પોપોટેમસ અને હરણ ઉપરાંત અત્યંત ચપળ ગણાતી ૨૭ જળબિલાડીઓ (Otters) નું સફળ વૈજ્ઞાનિક સંવર્ધન કરવામાં આવ્યું છે.
દેશભરમાં સપ્લાય: આ કેન્દ્રમાં દર વર્ષે ૫ થી ૭ બચ્ચાંનો જન્મ થાય છે. સુરત ઝૂની આ સફળતા એટલી મોટી છે કે અત્યાર સુધીમાં અહીંથી ૧૭ જળબિલાડીઓ દેશના અન્ય રાજ્યોના પ્રખ્યાત ઝૂમાં મોકલવામાં આવી છે.
ઓનલાઈન ટિકિટિંગ અને પ્રવાસીઓ માટે ખાસ આયોજન
નવી પેઢી વન્યજીવન અને પર્યાવરણને સમજે તે માટે દર વર્ષે ૨ લાખથી વધુ શાળાના વિદ્યાર્થીઓ અહીં શૈક્ષણિક પ્રવાસે આવે છે. વન્યજીવન સપ્તાહ (Wildlife Week) દરમિયાન વિદ્યાર્થીઓને ફ્રી એન્ટ્રી આપવામાં આવે છે. વાચકો અને પ્રવાસીઓની સુવિધા માટે પાલિકાએ ઓનલાઈન ટિકિટિંગ સિસ્ટમ શરૂ કરી છે, જેનાથી લોકોને લાંબી લાઈનોમાં ઊભા રહેવામાંથી મુક્તિ મળી છે. સુરત પાલિકાના સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં સુરતને ગ્લોબલ ટૂરિઝમ મેપ પર લાવવા માટે અહીં વિદેશી વન્યજીવો અને પક્ષીઓ લાવવાનું આયોજન પણ જોરશોરથી ચાલી રહ્યું છે.
