સુરત ખાતે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ઓક્સિજન પાર્કમાં 25,000 રોપાઓનું વાવેતર
Live TV
-
સુરત મહાનગરપાલિકાના સાઉથ-એ ઝોન વિસ્તારમાં ભેસ્તાન સ્થિત ટી.પી.એસ. નં. 54, એફ.પી. નં. 67 ખાતે વિકસાવવામાં આવી રહેલા 'ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ઓક્સિજન પાર્ક' ખાતે મેગા વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ પ્રસંગે વૃક્ષારોપણ મહાઅભિયાનની સ્મૃતિ તકતીનું પણ અનાવરણ કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં સુરતના મહાપૌર માયાબેન માવાણી અધ્યક્ષસ્થાને રહ્યા હતા. આ પ્રસંગે સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ, ધારાસભ્યો સંગીતાબેન પાટીલ, મનુભાઈ પટેલ, પ્રવીણભાઈ ઘોઘારી, સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજનભાઈ પટેલ, ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરી, શાસક પક્ષના નેતા અલ્પાબેન મહેતા, દંડક ઉર્મિલાબેન ત્રિપાઠી, કોર્પોરેટરો તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સવારે 8 વાગ્યે યોજાયેલા કાર્યક્રમમાં લીમડો, પીપળો, બોરસલ્લી, શેતૂર, જામફળ, આમળા, સીતાફળ, સરગવો સહિત 40થી વધુ સ્થાનિક પ્રજાતિના 25 હજાર રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું. સાથે જ નાગરિકોને 5 હજાર વિવિધ જાતિના રોપાઓનું નિઃશુલ્ક વિતરણ પણ કરવામાં આવ્યું.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ નાગરિકોને વૃક્ષારોપણ અને વૃક્ષોની જાળવણી માટે શપથ લેવડાવવામાં આવ્યો. આ અભિયાનમાં નેચર ક્લબ સુરત, ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ, સુરત વન ફાઉન્ડેશન સહિત અનેક સ્વૈચ્છિક સંસ્થાઓએ સક્રિય ભાગ લીધો હતો. પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધે તે હેતુથી વિવિધ શાળાના વિદ્યાર્થીઓ તેમજ પોલીસકર્મીઓએ પણ ઉત્સાહપૂર્વક વૃક્ષારોપણમાં સહભાગિતા નોંધાવી.
