સુરેન્દ્રનગરમાં કોલસાના કાળા કારોબાર પર વહીવટી તંત્રની લાલઆંખ: થાનગઢમાં રોયલ્ટી પાસના મોટા કૌભાંડનો પર્દાફાશ
Live TV
-
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પંથકમાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર કોલસાના ખનન અને રોયલ્ટી ચોરીના નેટવર્કને વહીવટી તંત્રએ ઝડપી પાડ્યું છે. ચોટીલા નાયબ કલેક્ટર અને થાનગઢ મામલતદારની સંયુક્ત ટીમે દરોડા પાડીને કરોડોના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, જેમાં સૌથી ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે મૃતક લીઝધારકના નામે પણ રોયલ્ટી પાસ ઈશ્યૂ થઈ રહ્યા હતા.
વહીવટી તંત્રને મળેલી ચોક્કસ બાતમીના આધારે થાનગઢના ગુગલિયાણા ગામે આવેલી કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝની ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા જ્યારે ઓફિસમાંથી 774 જેટલા ગેરકાયદે રોયલ્ટી પાસ મળી આવ્યા હતા.
તપાસમાં બહાર આવ્યું છે કે, જે લીઝધારકના નામે આ રોયલ્ટી પાસ ઈશ્યૂ કરવામાં આવતા હતા, તેમનું અવસાન વર્ષ 2021માં થઈ ચૂક્યું હતું. આમ છતાં છેલ્લા ત્રણ વર્ષથી મૃત વ્યક્તિના નામે રોયલ્ટી પાસ જનરેટ કરીને ગેરકાયદેસર રીતે કોલસાનું વહન કરવામાં આવતું હતું. આ ઘટનાએ ખાણ-ખનિજ વિભાગની ઓનલાઈન સિસ્ટમ અને સ્થાનિક દેખરેખ સામે મોટા સવાલો ઊભા કર્યા છે.
તંત્રએ આ દરોડા દરમિયાન માત્ર કાગળો જ નહીં, પરંતુ સાઈટ પરથી મોટા પાયે મશીનરી પણ જપ્ત કરી છે.
મશીનરી: લોડર, જેસીબી અને ડમ્પર.
પ્લાન્ટ: કાર્બોસેલ ક્રશર પ્લાન્ટ અને કાર્બોસેલનો મોટો જથ્થો.
કુલ કિંમત: અંદાજે 78.80 લાખ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.સ્થાનિક વહીવટી તંત્રએ જણાવ્યું કે, "ગેરકાયદે ખનન કરનારા તત્વોને છોડવામાં આવશે નહીં. આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે." આ દરોડાના પગલે થાનગઢ પંથકના ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
