સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન ખાતે "વન સ્ટેશન વન પ્રોડક્ટ " સ્ટોલનું લોકાર્પણ
Live TV
-
આજે ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે રેલ્વે વિભાગના વિવિધ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન ખાતે પણ વન સ્ટેશન વન પ્રોડક્ટ પ્રોજેક્ટ અંતર્ગત સ્ટોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના કુશળ કારીગરો દ્વારા બનાવેલ વિવિધ વસ્તુઓ વેચાણ અર્થે મુકવામાં આવી છે.
રેલ્વેના વન સ્ટેશન વન પ્રોડક્ટ પ્રોજેક્ટ હેઠળ રાજકોટ રેલ્વે ડિવિઝનમાં કુલ 7 સ્ટોલ બનાવવામાં આવ્યા છે જે અંતર્ગત સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન પણ નવો સ્ટોલ બનાવવામાં આવ્યો છે. ત્યારે આજે સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન આ સ્ટોલનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરા, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, નગરપાલિકા પ્રમુખ જીજ્ઞા પંડ્યા સહીતના ઉપસ્થિત રહ્યાં હતા અને પ્રધાનમંત્રીના લાઇવ ઉદબોધનને નિહાળ્યું હતું.
ત્યારબાદ કેન્દ્રીય મંત્રી અને રેલ્વેના અધિકારીઓના હસ્તે વન સ્ટેશન વન પ્રોડક્ટ હેઠળ નવનિર્માણ પામેલ સ્ટોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સ્ટોલમાં સુરેન્દ્રનગર જિલ્લાના હાથવણાટના કુશળ કારીગરો દ્વારા બનાવેલ ચાકળા, તોરણ સહીતની હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ વેચાણ અર્થે રાખવામાં આવશે જેથી જિલ્લાના કુશળ કારીગરોને લાભ થશે તેવી આશા છે.
