સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે સોમનાથમાં કરી બેઠક
Live TV
-
દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગની ભૂમિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તા.10 અને તા.11 મી જાન્યુઆરીના રોજ 'સોમનાથ સ્વાભિમાન પર્વ' માં સહભાગી થવા માટે પધારવાના છે,ત્યારે કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતએ પ્રધાનમંત્રીના સોમનાથ પ્રવાસ અને શૌર્ય યાત્રાના રૂટ સહિત વિવિધ કાર્યક્રમો અંગે સ્થળ સમિક્ષા કરી અન્ય તૈયારીઓની વિગતો મેળવી હતી.
કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતએ સોમનાથ મહાદેવને શીશ ઝૂકાવ્યા બાદ સાગર દર્શન ખાતે એક બેઠક યોજી અને 'સોમનાથ સ્વાભિમાન પર્વ' અંતર્ગત તા.8, 9 અને 10ના રોજ યોજાનાર વિવિધ કાર્યક્રમો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત અન્ય તૈયારીઓ વિશે ઝીણવટપૂર્વકની માહિતી મેળવી હતી.સાગર દર્શન ખાતેની બેઠક પૂર્ણ થયા પછી કેન્દ્રીય મંત્રીએ શૌર્ય યાત્રાના રૂટ શંખ સર્કલ થી હમીરજી ગોહિલ પ્રતિમા થી મંદિર પરિસર સહિતના સ્થળોએ મંત્રીઓ તેમજ વરિષ્ઠ અધિકારીઓ સાથે રૂટ નિરીક્ષણ કર્યું હતું.
કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતએ જણાવ્યું હતું કે, બાર જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ એ દેશના કરોડો લોકો માટે આસ્થાનું પ્રતીક છે. સોમનાથ એ અવિનાશી-શાશ્વત સનાતન સંસ્કૃતિ અને અતૂટ આસ્થાનું પ્રતિક છે. તલવારની તાકાત પર સનાતનને મિટાવવાની કોશિશ કરવામાં આવી હતી પરંતુ એમાં નિષ્ફળતા મળી અને સનાતનની શક્તિમાં ઉત્તરોતર વધારો થતો રહ્યો છે.ગઝનવીએ સોમનાથ પર આક્રમણ કર્યું પરંતુ વિદ્વંશ સામે નિર્માણની તાકાત જીતી ગઈ, સોમનાથ પર આટઆટલા આક્રમણ પછી પણ એ સનાતન, અખંડ અને અવિનાશી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયત્નોથી ભવિષ્યની પેઢીને પણ સનાતન સંસ્કૃતિની-ભારતની પ્રાચીન ધરોહરની ઓળખ મળે, વીરોના બલિદાન યોગદાનની ગાથાની જાણકારી મળે એ દિશામાં કાર્ય થઈ રહ્યું છે. એમ મંત્રીએ ઉમેર્યું હતું.
સોમનાથ પર ગઝનવીના આક્રમણના 1000 વર્ષ અને મંદિર જીર્ણોદ્ધારના 75 વર્ષનો સુભગ સમન્વય સધાયો છે. જે તાકાતો એ ભારતમાં અવિનાશી ચેતનાને મિટાવવાની કોશિશ કરી હતી, એમના પ્રયાસો સદંતર નિષ્ફળ રહ્યાં. આમ સોમનાથ એ અતૂટ આસ્થાનું કેન્દ્ર અને સાંસ્કૃતિક ધરોહરોનું પુન: જાગરણનું કેન્દ્ર બન્યું છે.ઉલ્લેખનીય છે કે 'સોમનાથ સ્વાભિમાન પર્વ' અંતર્ગત તા.8, 9 અને તા.10 દરમિયાન ત્રિદિવસીય મહોત્સવમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત શોર્ય યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
