‘ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ-ધ રીયલ હિરોઝ ઓફ ઇન્ડિયા’ વિડીયો બુક અને ડોક્યુમેન્ટરીનું વિમોચન
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તટ રક્ષક દળના 50 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના અવસરે ‘ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ-ધ રીયલ હિરોઝ ઓફ ઇન્ડિયા’ વિડીયો બુક અને ડોક્યુમેન્ટરીનું ગાંધીનગરમાં વિમોચન કર્યું હતું.
મુખ્યમંત્રીએ ઈન્ડિયન કોસ્ટગાર્ડ પોતાનો ધ્યેય મંત્ર ‘વયમ રક્ષામ:’ને સમુદ્રી સુરક્ષા મજબૂત બનાવવા આપત્તિ સમયે ઝડપી રાહત અને બચાવ કામગીરી તથા સમુદ્રી પર્યાવરણના સંરક્ષણ માટેની પ્રતિબદ્ધતાથી ચરિતાર્થ કરે છે તેને બિરદાવી હતી. તેમણે કહ્યું કે, આપત્તિના સમયે જ્યારે પોતાને માથે મોત ઊભું હોય ત્યારે પોતાના જીવની પરવાહ કર્યા વિના સામાન્ય અને સંકટમાં ફસાયેલા માનવીનો જીવ બચાવવા હંમેશા તત્પર આ તટ રક્ષકો કાયમ માટે રીયલ હીરોઝ બની રહેવાના છે. પાછલા 50 વર્ષોમાં ઈન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા રાષ્ટ્રની દરિયાઈ સીમા સુરક્ષાના અનેક ઉતકૃષ્ટ ઉદાહરણો પ્રસ્થાપિત થયા છે અને ઈન્ડિયન કોસ્ટગાર્ડ આત્મનિર્ભર ભારતની એક વિશેષ ઓળખ બન્યું છે તેમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોસ્ટ્ગાર્ડ ગુજરાત પોલીસની એ.ટી.એસ. સાથેના સંકલનમાં રહીને દરિયાઈ માર્ગેથી ડ્રગ્સની ઘુસણખોરી અટકાવવા સતર્ક રહિને મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. તેને પણ બિરદાવી હતી. ઈન્ડિયન કોસ્ટગાર્ડ સમુદ્ર કિનારાથી લઈને 200 નોટિકલ માઈલ સુધી સમુદ્ર વિસ્તારમાં ફરજરત રહિને ઈન્ડિયન નેવી અને સ્ટેટ મરીન પોલીસ વચ્ચે મહત્વની કડી બન્યું છે તેમ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વરિષ્ઠ પત્રકાર ડૉ. વિવેક ભટ્ટે પોતાની આ વિડીયો બુક અને ડોક્યુમેન્ટરી દ્વારા તટરક્ષક દળની શૌર્ય ગાથાને વ્યાપક રીતે લોકો સુધી પહોંચાડવાનું રાષ્ટ્રપ્રેમનું કાર્ય કર્યું છે. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સરહદી વિસ્તારોમાં જેમ બી.એસ.એફ. દિવસ-રાત નિગરાની રાખે છે તેમ સમુદ્રી વિસ્તારમાં ઈન્ડિયન કોસ્ટગાર્ડ સતત બાજ નઝર રાખીને તૈનાત રહ્યું છે તે માટે અભિનંદન આપ્યા હતા.
પોલીસ મહાનિદેશક ડૉ. કે.એન.એલ. રાવે આ પ્રસંગે કહ્યું કે, રાજ્યના વિશાળ દરીયા કિનારાની સુરક્ષા અને સલામતિ માટે 22 મરીન પોલીસ સ્ટેશન્સ અને મરીન ટાસ્કફોર્સના 500થી વધુ જવાનો કોસ્ટગાર્ડ સાથે ખભે ખભા મીલાવીને ફરજ બજાવે છે. સંયુક્ત ઓપરેશનથી ડ્રગ્સને દરીયાઈ માર્ગેથી આવતુ અટકાવવાની સફળતા પણ મેળવી છે. કોસ્ટગાર્ડના આઈ.જી. શ્રી ડી. શષીકુમારે 50 વર્ષની ઉજવણીના આ અવસરને ગરીમામય ગણાવતા કહ્યું કે, આ 50 વર્ષોમાં ભારતીય તટરક્ષક દળ દેશના દરીયાકાંઠાની સુરક્ષાની અડગ ઢાલ બન્યુ છે એટલુ જ નહિ, વાવાઝોડું, વરસાદ, દરીયાઈ તુફાન જેવા વિપદાના સમયે સ્થાનિક પ્રશાસનની મદદમાં રહિને બચાવ અને રાહત કામગીરીમાં પણ મોખરે રહે છે. તેમણે ઈન્ડિયન કોસ્ટગાર્ડને ગુજરાત સરકાર દ્વારા મળી રહેલા સહયોગની સરાહના કરતાં મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
પુસ્તકના લેખક ડૉ. વિવેક ભટ્ટે સૌને આવકારતા પાછલા 23 વર્ષોથી દર વર્ષે સરહદ પર જઈને ભારતીય સેનાઓ અને જવાનોનું મનોબળ વધારતી જે રોમાંચક ગાથાઓ લખી છે તેની ભૂમિકા આપી હતી અને તટરક્ષક પરનું તેમનું આ પુસ્તક દેશના યુવાઓ અને આવનારી પેઢી માટે રાષ્ટ્ર પ્રેમનું ઉદાહરણ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓ, મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસ તથા કોસ્ટગાર્ડ અને પોલીસના વરિષ્ઠ અધિકારીઓ અને આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા.
