‘નંદ ઘેર આનંદ ભયો’ના નાદથી ગૂંજી ઉઠ્યા કૃષ્ણ મંદિરો
Live TV
-
શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઠેર-ઠેર ધામ-ધૂમપૂર્ણ ઉજવણી, ઈતિહાસમાં પ્રથમ વખત ભક્તો વિના જ ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવની કરાઈ ઉજવણી
દેશ સહિત રાજ્યભરમાં ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. જગત મંદિરમાં મધરાતે 12 વાગે ભગવાન કૃષ્ણના જન્મની ઉજવણી શરૂ થઈ હતી. બરાબર 12ના ટકોરે જગતમંદિરના દ્વાર ખોલી નાખવામાં આવ્યા હતા. ભગવાનને આ પ્રસંગે કેસરિયા વાઘા પહેરાવવામાં આવ્યા હતા. ભગવાનના આ અલૌકિક રૂપના ઓનલાઇન દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ભગવાનના જન્મબાદ વિવિધ વિધિ કરવામાં આવી હતી. જન્મ થયા બાદ ભગવાન કૃષ્ણને મુખદર્શન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમની નજર ઉતારવામાં આવી હતી અને અંતે જગતના નાથની આરતી ઉતારી ભોગ ધરાવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સમગ્ર મંદિર પરિસર ‘નંદ ઘેર આનંદ ભયો’ના નાદથી ગૂંજી ઉઠ્યું હતું. ઇતિહાસમાં પ્રથમ વખત કોરોના મહામારીના કારણે જગતમંદિરના દ્વાર ભક્તો માટે બંધ કરાયા હતા. જો કે, ભક્તોએ દ્વારકાધીશના દર્શન ઓનલાઇન કરી શકે તે માટે વ્યવસ્થા કરાઈ હતી.
આ સાથે અમદાવાદ ભાડજ સ્થિત હરેકૃષ્ણ મંદિરમાં આઠમની રાત્રીએ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં કેસરના ફૂલોથી સ્નાન દ્વારા ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વિવિધ પ્રકારની પૂજનવિધિ મંત્રોચ્ચાર દ્વારા કરવામાં આવી. ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણની શ્રુંગાર આરતી કરાઈ હતી. જેમાં માત્ર મંદિરના સેવકો અને માત્ર આમંત્રિત યજમાનોએ ચોક્કસ નીતિ નિયમોને અનુસરીને કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી હતી.
