“સ્વસ્થ નારી સશક્ત પરિવાર”, “રાષ્ટ્રીય પોષણ માસ” અને “રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ”ના ત્રિવેણી સંગમ થકી નાગરિકોના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે સરકાર પ્રયત્નશીલ
Live TV
-
શરદ ઋતુમાં આવતો ‘સમપ્રકાશીય દિવસ’ એટલે તા. 23 સપ્ટેમ્બર. આ દિવસે રાત અને દિવસ લગભગ સમાન હોય છે, જે આયુર્વેદના મૂળભૂત સિદ્ધાંતો - મન, શરીર અને સંવેદના વચ્ચે સંતુલનને પ્રતિબિંબિત કરે છે.
જેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદના મહત્વ, સર્વાંગી સ્વાસ્થ્ય અને તેની સુસંગતતા વિશે જાગૃતિ લાવવા દર વર્ષે તા. 23 સપ્ટેમ્બરના રોજ ‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ’ ઉજવવામાં આવે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં રાજ્યના આયુષ પ્રભાગ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન સ્ત્રી અને બાળ રોગ, વયોવૃદ્ધ અવસ્થા સંબંધિત રોગ, જીવનશૈલી સંબંધિત રોગોના કાયમી નિદાન માટે રાજ્યભરમાં અંદાજે 8 હજાર કરતાં વધુ આયુર્વેદિક કેમ્પ અને સ્વાસ્થ્ય શિબિરોનું આયોજન કરવામાં આવશે.
કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકોના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ તા. 17 સપ્ટેમ્બરથી મહાત્મા ગાંધી જયંતી તા. 2 ઓકટોબર, 2025 સુધી “સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાનની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત હાલમાં “રાષ્ટ્રીય પોષણ માસ” પણ ઉજવવામાં આવી રહ્યો છે. જેમાં દેશની સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ અને 6 વર્ષની વય સુધીના બાળકોના પોષણની સ્થિતિ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. વધુમાં, આયુષ પ્રભાગ દ્વારા આયુર્વેદ આહાર અને સુવર્ણ પ્રાશનની કામગીરી પણ કરવામાં આવી રહી છે.
આમ, સ્વાસ્થ્ય સંબંધી વિવિધ ઉપક્રમોના ત્રિવેણી સંગમ પ્રસંગે આયુષ પ્રભાગ હસ્તકના તમામ આયુષ દવાખાના, આયુષ્યમાન આરોગ્ય મંદિર, આયુર્વેદ હોસ્પિટલો તેમજ આયુષ કોલેજ સંલગ્ન હોસ્પિટલો ખાતે સ્વાસ્થ્ય સંબંધિત વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. જેમાં સુવર્ણ પ્રાશન, વન ઔષધિ પ્રદર્શન, રસોડાના ઔષધો અંગે જાગૃતિ, પંચકર્મ પ્રદર્શન, હોમિયોપેથિક સારવાર, આયુર્વેદ ઓન વ્હીલ્સ: આયુર્વેદિક ડોકટરોથી સજ્જ મોબાઇલ વાન, મેદસ્વિતા મુક્તિ અંગે માર્ગદર્શન જેવી વિવિધ સેવાઓનો સમાવેશ થાય છે.
અત્રે નોંધનીય છે કે, દેશમાં સૌપ્રથમ ‘આયુર્વેદ દિવસ’ની ઉજવણી ‘ડાયાબિટીસના નિવારણ અને નિયંત્રણ માટે આયુર્વેદ’ની થીમ પર વર્ષ 2016થી શરૂ કરવામાં આવી હતી. લાઈફ સ્ટાઈલ ડિસઓર્ડર એટલે કે જીવનશૈલી સંબંધિત વિકૃતિઓ, આબોહવા સંબંધિત રોગો અને સ્ટ્રેસ મેનેજમેન્ટ જેવા વૈશ્વિક સ્વાસ્થ્ય પડકારોને ધ્યાનમાં રાખીને “આયુર્વેદ ફોર પીપલ એન્ડ પ્લેનેટ” થીમ પર ચાલુ વર્ષે 10માં ‘આયુર્વેદ દિવસ-૨૦૨૫’ની ઉજવણી કરવામાં આવી રહી છે.
