26 જુલાઈથી 'સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 2025'નો પ્રારંભ થશે
Live TV
-
આ વર્ષે સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 26 જુલાઈ 2025થી 17 ઓગસ્ટ 2025 દરમિયાન યોજાશે અને તેમાંના વિવિધ આકર્ષણો દર્શકોને મંત્રમુગ્ધ કરી દેશે. તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી સાપુતારા મોનસૂન ફેસ્ટિવલની શરૂઆત થઈ હતી. આજના સમયમાં આ ઉત્સવ દેશ-વિદેશના પ્રવાસીઓ માટે પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર છે.
ગુજરાત એ તહેવારપ્રિય રાજ્ય છે, જે દરેક ઉત્સવ સાથે તેની વિવિધ સાંસ્કૃતિક પરંપરાઓની ઉજવણી કરે છે. રાજ્યના ડાંગ જિલ્લામાં આવેલું અને "ગુજરાતનું ચેરાપુંજી" તરીકે ઓળખાતું સાપુતારા વરસાદી ઋતુ દરમિયાન અદ્વિતીય સૌંદર્ય પ્રાપ્ત કરે છે અને અહીં પ્રવાસીઓની ભીડ ઉમટી પડે છે. દર વર્ષે યોજાતો સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ પણ પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનો કેન્દ્ર બનેલો છે. આ મહોત્સવના કારણે સાપુતારા ના પ્રવાસન ઉદ્યોગ સાથે સ્થાનિક રોજગારમાં પણ વધારો થયો છે.
આ વર્ષે સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 26 જુલાઈ 2025થી 17 ઓગસ્ટ 2025 દરમિયાન યોજાશે અને તેમાંના વિવિધ આકર્ષણો દર્શકોને મંત્રમુગ્ધ કરી દેશે. તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી સાપુતારા મોનસૂન ફેસ્ટિવલની શરૂઆત થઈ હતી. આજના સમયમાં આ ઉત્સવ દેશ-વિદેશના પ્રવાસીઓ માટે પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ ગુજરાત સરકાર ડાંગ જિલ્લાના પ્રવાસન, વિકાસ અને રોજગારને વધુ વેગ આપવા પ્રતિબદ્ધ છે. તેમના માર્ગદર્શન હેઠળ ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (TCGL) દ્વારા આયોજિત સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 2025 નો આરંભ 26 જુલાઈએ ભવ્ય કાર્યક્રમોથી થશે અને સાપુતારા વિવિધ સાંસ્કૃતિક અને પ્રાદેશિક પ્રવૃત્તિઓથી જીવંત બની જશે. આ મહોત્સવ આદિવાસી સંસ્કૃતિ, કુદરતી સૌંદર્ય અને સ્થાનિક પરંપરાઓના પ્રચારનું માધ્યમ બની રહ્યો છે. ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ પ્રવાસીઓ ઉમટી પડે છે.
અથાહ કુદરતી સૌંદર્ય ધરાવતું સાપુતારા મોનસૂન ફેસ્ટિવલમાં ડાંગની ઋચિ સાંસ્કૃતિક પરંપરા, જીવનશૈલી, પરંપરાગત ભોજન, નૃત્યકલા અને રંગબેરંગી સાંસ્કૃતિક ઝાંખી જોવા મળે છે. આ વર્ષે પ્રથમવાર ‘એક ભારત- શ્રેષ્ઠ ભારત’ અંતર્ગત ગ્રાન્ડ ફોક કાર્નિવલ પરેડનું આયોજન કરાયું છે, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, આસામ, મધ્યપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને ઓડિશા સહિત 13 રાજ્યોના 350થી વધુ કલાકાર ભાગ લેશે. તેઓ પરંપરાગત પ્રોપ્સ સાથે લોક સંસ્કૃતિની જીવંત રજૂઆત કરશે. ઉપરાંત, રેન ડાન્સ અને નેચર વોક જેવી નવી પ્રવૃત્તિઓ પણ આ વર્ષે શરૂ કરાઈ છે.
મહોત્સવના ભાગરૂપે યોજાનાર ‘ગ્રાન્ડ ક્લાસિકલ અને લોક પ્રદર્શન’માં પણ 13 રાજ્યોના કલાકાર ભાગ લેશે. ગુજરાત, દિલ્હી, તમિલનાડુ, મણિપુર, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, મહારાષ્ટ્ર, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને આસામના 80થી વધુ કલાકાર તેમની શાસ્ત્રીય અને લોકકળાઓથી ભારતની વિવિધતાસભર સંસ્કૃતિને રજૂ કરશે. મહોત્સવના મુખ્ય આકર્ષણમાં ગીતાબેન રબારી, પાર્થ ઓઝા, રાગ મહેતા જેવા જાણીતા ગુજરાતી કલાકાર અને કેરળના પ્રસિદ્ધ થેક્કિનકાડુ અट्टમ મ્યુઝિકલ બેન્ડ પણ ખાસ પર્ફોમન્સ આપશે. પ્રવાસીઓ માટે સમગ્ર સાપુતારામાં ટેબ્લો શોનું આયોજન કરાયું છે, જ્યારે સંડે સાયક્લોથોન, દહીંહાંડી સ્પર્ધા, કૃષ્ણજન્માષ્ટમી ઉજવણી અને સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આયોજિત મીની મેરાથોન જેવા કાર્યક્રમો સાંસ્કૃતિક અને રાષ્ટ્રભાવના ઉજાગર કરશે.
સાપુતારા મોનસૂન ફેસ્ટિવલમાં પ્રવાસીઓની આવકના કારણે ડાંગ અને આસપાસના વિસ્તારોમાં રોજગાર અને આવકના સ્ત્રોતમાં વધારો થયો છે, જે સ્થાનિક જનતાના જીવનસ્તર સુધારવામાં મદદરૂપ થયો છે. સ્થાનિક સંસ્કૃતિનો પરિચય પણ પ્રવાસીઓને થાય અને સ્થાનિક કલાકારોને પણ રોજગાર મળે એ હેતુથી ફેસ્ટિવલમાં વિવિધ પ્રવૃત્તિઓ યોજાય છે. આ વખતે સાપુતારા મેન સર્કલ, ગવર્નર હિલ અને સાપુતારા લેક બોટ ક્લબ ખાતે સ્થાનિક કલાકારોએ દૈનિક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવાના છે. જ્યારે મેન ડોમ ઈવેન્ટ એરિયામાં ટ્રાઈબલ ફૂડ ફેસ્ટિવલ, ટ્રાઈબલ ટેટૂ વર્કશોપ, ટ્રાઈબલ આર્ટ એન્ડ ક્રાફ્ટ સ્ટોલ, વોરલી પેઇન્ટિંગ વર્કશોપ, લોક સંગીત અને મેજિક શો જેવી પ્રવૃત્તિઓ પણ મુલાકાતીઓ માટે યાદગાર અનુભવ પૂરું પાડી રહી છે.
સાપુતારાનું આહલાદક વાતાવરણ અને કુદરતી સૌંદર્ય હંમેશા પ્રવાસીઓની પસંદ રહી છે. રાજ્ય સરકારે આયોજિત આ ફેસ્ટિવલના કારણે ડાંગ જિલ્લામાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે. 2022માં સાપુતારાની મુલાકાત માટે આવેલા લોકોની સંખ્યા 8.16 લાખ હતી, જે 2023માં 11.13 લાખ અને 2024માં 11.67 લાખ થઈ હતી. ડાંગ જિલ્લામાં 2022માં કુલ 10.40 લાખ પ્રવાસીઓ આવ્યા હતા, જ્યારે 2023માં 22.40 લાખ અને 2024માં અંદાજે 26.91 લાખ પ્રવાસીઓ આવ્યા હતા. ગુજરાત સરકારે ઢાંશાગત વિકાસ, વિશિષ્ટ ભૂગોળિક સ્થિતિને ધ્યાનમાં રાખીને યોજાયેલા કાર્યક્રમો અને આદિજાતિ વિકાસ યોજનાઓના અમલ દ્વારા ડાંગને રાષ્ટ્રીય સ્તરે પ્રવાસન નકશા પર સ્થાન અપાવ્યું છે.
