ઈરાન સાથે શાંતિ વાટાઘાટો માટે અમેરિકી દૂતની પાકિસ્તાન મુલાકાત રદ, ટ્રમ્પ બોલ્યા- વાત કરવા માટે તેહરાન જાતે ફોન કરે
Live TV
-
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશ્નરની પાકિસ્તાન મુલાકાત રદ કરી દીધી છે. આ બંને પ્રતિનિધિઓને ઈરાની અધિકારીઓ સાથે સંભવિત શાંતિ વાટાઘાટો માટે ઈસ્લામાબાદ મોકલવાના હતા.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર પોસ્ટ કરીને આ નિર્ણયની પુષ્ટિ કરી છે. તેમણે લખ્યું, "મેં મારા પ્રતિનિધિઓની પાકિસ્તાન મુલાકાત રદ કરી દીધી છે, જ્યાં તેઓ ઈરાનીઓને મળવાના હતા. આ મુલાકાતમાં ઘણો સમય બરબાદ થાત અને કામ પણ ઘણું છે".
તેમણે વધુમાં જણાવ્યું કે, "તેમના નેતૃત્વમાં જબરદસ્ત આંતરિક ખેંચતાણ અને ભ્રમ છે. તેમને ખુદને ખબર નથી કે જવાબદારી કોની પાસે છે. અમારી પાસે બધા પત્તા છે, તેમની પાસે કંઈ જ નથી". ટ્રમ્પે અંતમાં કહ્યું, "જો તેઓ વાત કરવા માંગતા હોય, તો તેમણે બસ ફોન કરવાનો છે".
આ દરમિયાન ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી પાકિસ્તાનનો પ્રવાસ પૂરો કરીને પરત ફર્યા છે. તેમના ગયા પછી યુદ્ધ વિરામ માટેના કરારના પ્રયાસો હાલમાં ઠપ દેખાઈ રહ્યા છે.
અરાઘચીએ પણ સોશિયલ મીડિયા પોસ્ટમાં પાકિસ્તાનની ભૂમિકાના વખાણ કરતા કહ્યું કે, પાકિસ્તાનના સદભાવનાપૂર્ણ પ્રયાસો અને ભાઈચારો આ ક્ષેત્રમાં શાંતિ સ્થાપવા માટે મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું, "મેં ઈરાન તરફથી યુદ્ધને કાયમી ધોરણે સમાપ્ત કરવા માટે વ્યાવહારિક માળખા પર મારો પક્ષ રાખ્યો છે. હવે જોવાનું એ રહે છે કે અમેરિકા ખરેખર ડિપ્લોમેસી બાબતે ગંભીર છે કે નહીં"
