ઓમાનમાં યોજાનારી ઈરાન અને ખાડી દેશોની હાઈ લેવલ બેઠક હાલ પૂરતી મુલતવી
Live TV
-
ઓમાનના સલાલાહ શહેરમાં યોજાનારી ઈરાન અને ખાડી દેશોના વિદેશ મંત્રીઓની મહત્વપૂર્ણ ક્ષેત્રીય બેઠક હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે. ઓમાનના વિદેશ મંત્રી સૈયદ બદર બિન હમદ અલ બુસૈદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપતા જણાવ્યું હતું કે, તમામ પક્ષો વચ્ચે પરસ્પર સંમતિ અને સદ્ભાવના જાળવી રાખવાના હેતુથી આ નિર્ણય લેવાયો છે.
તેમણે ઉમેર્યું કે તેમનો દેશ આ પ્રદેશમાં શાંતિ, સ્થિરતા અને લાંબા ગાળાના સહયોગ માટે સંવાદ ચાલુ રાખવા પ્રતિબદ્ધ છે.
ઈરાનના વિદેશ મંત્રાલયના પર્શિયન ગલ્ફ બાબતોના ડાયરેક્ટર જનરલ મોહમ્મદ અલી બાકે પણ આ વાતને સમર્થન આપતા જણાવ્યું હતું કે, કેટલાક પ્રાદેશિક દેશોની વિનંતી અને ઈરાન-ઓમાનના સંયુક્ત નિર્ણય બાદ બેઠક પાછી ઠેલવવામાં આવી છે. નવી તારીખ અને જરૂરી તૈયારીઓ માટે બંને દેશો સતત સંપર્કમાં છે. ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં હોર્મુઝ સ્ટ્રેટમાં સુરક્ષિત દરિયાઈ માર્ગ અને પ્રાદેશિક સુરક્ષા જેવા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની હતી, જેમાં ઈરાક અને ખાડી દેશોના વિદેશ મંત્રીઓ ભાગ લેવાના હતા.
ઈરાક-ઈરાન સરહદે પરિવહન અને વેપાર પુનઃ શરૂ
બીજી તરફ, સુરક્ષા વ્યવસ્થા અને ટેકનિકલ સમીક્ષા પૂર્ણ થયા બાદ ઈરાકે ઈરાન સાથેની પોતાની ત્રણ મુખ્ય સરહદી ચોકીઓ (શલામચેહ, મંદાલી અને અલ-શીબ) ને તબક્કાવાર રીતે ફરીથી ખોલવાની જાહેરાત કરી છે.ઈરાકના સિક્યોરિટી મીડિયા સેલ (SMC)ના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન અલી અલ-ઝૈદીના નિર્દેશો હેઠળ આ નિર્ણય લેવાયો છે. રવિવાર સવારથી અલ-શીબ અને શલામચેહ સરહદેથી મુસાફરોની અવરજવર શરૂ થઈ ગઈ છે. વેપાર પ્રવૃત્તિઓ માટે શલામચેહ સોમવારથી, મંદાલી મંગળવારથી અને અલ-શીબ ગુરુવારથી કાર્યરત થશે. જ્યારે જુર્બાનિયા અને અલ-મુંથિરિયા બોર્ડર પર પહેલાની જેમ જ 24 કલાક અવરજવર ચાલુ રહેશે.
