તુર્કી અને સીરિયામાં ભૂકંપને કારણે 24,000થી વધુ લોકોના મૃત્યુ
Live TV
-
ઘાયલોની સંખ્યા 82 હજારને પાર પહોંચી.
તુર્કી અને સીરિયામાં આવેલા ભયાનક ભૂકંપના પાંચ દિવસ પછી પણ કાટમાળમાંથી મૃતદેહોને શોધવાનું કાર્ય ચાલુ છે. આ કુદરતી આફતમાં તુર્કીમાં સૌથી વધુ અસર થઈ છે. આ આપત્તિના લીધે અત્યાર સુધીમાં 24 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને ઘાયલોની સંખ્યા 82 હજારને પાર પહોંચી છે. બીજી તરફ, હજુ પણ હજારો લોકો કાટમાળમાં દટાયા છે. આવી સ્થિતિમાં એજન્સી અને બચાવ કર્મીઓનું કહેવું છે કે, ઘાયલ અને મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. આવી સ્થિતિમાં, વિશ્વના 70 દેશો તુર્કીને આ વિનાશક આફતમાંથી બચાવવા માટે મદદ કરવા આગળ આવ્યા છે. જેમાં ભારત પણ સામેલ છે. દેશના ઓપરેશન દોસ્ત હેઠળ સેના અને NDRF કાટમાળમાંથી લોકોને જીવિત શોધવાના પ્રયાસો કરી રહી છે. ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં ભારતીય સેના ફિ્લ્ડ હોસ્પિટલ ઊભા કરીને ઘાયલોની સારવાર કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફરીવાર મદદ કરવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, અમારી ટીમ ઓપરેશન દોસ્તના ભાગરૂપે દિવસ-રાત કાર્ય કરી રહી છે. તેઓ લોકોના જીવન અને સંપત્તિ બચાવવા માટે પોતાનું સર્વશ્રેષ્ઠ યોગદાન આપવાનું ચાલુ રાખશે. સંકટની આ ઘડીમાં ભારત તુર્કીના લોકોની સાથે મજબૂત રીતે ઊભું છે.
સીરિયા કેબિનેટે વિદ્રોહી નિયંત્રિત ક્ષેત્ર સહિત દેશના તમામ ભાગોમાં માનવીય સહાયતા પહોંચાડવાની મંજૂરી આપી છે. સહાયતા એજન્સીઓએ વિદ્રોહીઓના કબ્જાવાળા ક્ષેત્રમાં પ્રવેશ કરવાની મંજૂરી માંગી હતી. સંયુક્ત રાષ્ટ્રની માનવીય બાબતોના મહાસચિવ માર્ટિન ગ્રિફિથ્સે સીરિયા સરકારના આ નિર્ણયની સરાહના કરી છે.
