ભારત-જાપાન વચ્ચે ‘વીર ગાર્ડિયન-2026’ દ્વિપક્ષીય હવાઈ કવાયત યોજાશે
Live TV
-
જોધપુર એરફોર્સ સ્ટેશન ખાતે 9થી 22 સપ્ટેમ્બર દરમિયાન કવાયત; તેજસ, સુખોઈ-30 MKI અને રાફેલ સાથે જાપાનના F-2A ફાઈટર એરક્રાફ્ટ ભાગ લેશે
ભારતીય વાયુસેના (IAF) અને જાપાન એર સેલ્ફ-ડિફેન્સ ફોર્સ (JASDF) વચ્ચેની દ્વિપક્ષીય હવાઈ કવાયત ‘વીર ગાર્ડિયન-2026’નું આયોજન રાજસ્થાનના જોધપુર એરફોર્સ સ્ટેશન ખાતે કરવામાં આવશે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ 14 દિવસીય કવાયત 9 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર 2026 દરમિયાન યોજાશે.
બંને દેશોના ફાઈટર એરક્રાફ્ટ લેશે ભાગ
કવાયતમાં બંને દેશોના અગ્રણી ફાઈટર એરક્રાફ્ટ ભાગ લેશે. ભારતીય વાયુસેના દ્વારા સ્વદેશી લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસ, સુખોઈ-30 MKI અને રાફેલ ફાઈટર એરક્રાફ્ટ તૈનાત કરવામાં આવશે. જ્યારે જાપાન એર સેલ્ફ-ડિફેન્સ ફોર્સ દ્વારા F-2A ફાઈટર એરક્રાફ્ટ સાથે ભાગ લેવામાં આવશે.
આધુનિક ઓપરેશનલ મિશન પર તાલીમ
‘વીર ગાર્ડિયન-2026’ બંને દેશોના એર વોરિયર્સને અદ્યતન ઓપરેશનલ મિશન હાથ ધરવાની તક આપશે. આ ઉપરાંત વ્યાવસાયિક સ્તરે વ્યાપક પરસ્પર સંવાદ દ્વારા બંને વાયુસેનાઓ વચ્ચે ઇન્ટરઓપરેબિલિટી અને ઓપરેશનલ સમન્વય વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. કવાયત દરમિયાન બંને દેશોના સૈન્ય કર્મચારીઓ વચ્ચે મિશન પ્લાનિંગ કોન્ફરન્સ તેમજ વિવિધ વિષયોના નિષ્ણાતો વચ્ચે ચર્ચા અને જ્ઞાનની આપ-લે કરવામાં આવશે.
એન્જિનિયરિંગ અને એરોસ્પેસ સેફ્ટી અંગે પણ ચર્ચા
કવાયતના ભાગરૂપે બંને દેશોના નિષ્ણાતો એન્જિનિયરિંગ પ્રેક્ટિસ અને એરોસ્પેસ સેફ્ટી સંબંધિત વિવિધ પાસાઓ અંગે પણ પરસ્પર ચર્ચા કરશે. આ પ્રક્રિયાનો હેતુ ઓપરેશનલ સંકલન વધુ મજબૂત બનાવવા તથા બંને દેશોના વ્યાવસાયિક અનુભવ અને નિપુણતાની આપ-લે કરવાનો છે.
ભારત-જાપાન વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત થશે
સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ‘વીર ગાર્ડિયન-2026’ ભારત અને જાપાન વચ્ચે સતત ગાઢ બની રહેલી વ્યૂહાત્મક ભાગીદારીનું પ્રતિબિંબ છે. કવાયત બંને દેશોની વાયુસેનાઓ વચ્ચેની વ્યૂહાત્મક સમજ, ટૅક્ટિકલ ક્ષમતા અને એરોસ્પેસ ઓપરેશનલ સિનેર્જી વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. આ કવાયત ભારત અને જાપાન વચ્ચેના લાંબા સમયથી ચાલતા મૈત્રીપૂર્ણ સંબંધો અને વ્યૂહાત્મક સહકારને વધુ મજબૂત બનાવવાની સાથે પરસ્પર સમજ અને ઓપરેશનલ ક્ષમતાઓ વધારવા માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડશે.
