મ્યાનમારમાં સેનાના હવાઈ હુમલામાં 100 લોકોના મૃત્યુ
Live TV
-
મ્યાનમારની સેના દ્વારા મંગળવારે કરવામાં આવેલા હવાઈ હુમલામાં બાળકો સહિત 100 થી વધુ લોકો માર્યાના સમાચાર સામે આવ્યા છે. આ તમામ લોકો સૈન્ય શાસનના વિરોધીઓ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા હતા.
મીડિયા રીપોર્ટ્સ પ્રમાણે સોનહાઇગ પ્રાંતના કનબાલુ ટાઉનશીપમાં પાજીગી ગામની બહાર એકઠા થયેલા ભીડ પર એક ફાઇટર જેટે બોમ્બ ફેંક્યા હતા ત્યારબાદ હેલિકોપ્ટરથી ગોળીબાર કરાયો હતો. જેમાં બાળકો મહિલા સહિત 100થી વધુ લોકોના મૃત્યુ થયાના સમાચાર સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે બળવાખોર જૂથની સ્થાનિક ઓફિસના ઉદ્ઘાટન માટે લોકો એકઠા થયા હતા. તે દરમિયાન મ્યાનમારની સેના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
પ્રારંભિક અહેવાલોમાં મૃત્યુઆંક લગભગ 50 હતો, પરંતુ સ્વતંત્ર મીડિયાએ પાછળથી અહેવાલ આપ્યો કે મૃત્યુઆંક 100 થી વધુ આંક પહોચી ગયો છે. માર્યા ગયેલાઓની વાત કરીએ તો તેમાં મહિલાઓ અને નાના બાળકો પણ સામેલ હતા. લશ્કરી સરકારના પ્રવક્તા મેજર જનરલ જૉ મીન તુને રાજ્યના ટેલિવિઝનને આપેલા ટેલિફોનિક નિવેદનમાં સ્વીકાર્યું હતું કે બળવાખોર જૂથની ઓફિસના ઉદઘાટન દરમિયાન હુમલો થયો હતો. તેમણે સરકાર વિરોધી દળો પર આતંકનું હિંસક અભિયાન ચલાવવાનો આરોપ લગાવ્યો હતો.
