શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડ્યા બાદ સેના પ્રમુખે રાષ્ટ્રને સંબોધન કર્યું, સૈન્ય પર ભરોસો રાખવા કરી અપીલ
Live TV
-
શેખ હસીનાના રાજીનામા બાદ તેમણે જાહેરાત કરી હતી કે હવે વચગાળાની સરકાર બનશે, સેના પર વિશ્વાસ રાખો. આ દરમિયાન પ્રદર્શનકારીઓ વડાપ્રધાનના આવાસમાં ઘૂસી ગયા હતા
બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે વડાપ્રધાન શેખ હસીનાએ દેશ છોડ્યા બાદ આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને પ્રથમ વખત દેશના નાગરિકોને સંબોધિત કર્યા હતા. શેખ હસીનાના રાજીનામા બાદ તેમણે જાહેરાત કરી હતી કે હવે વચગાળાની સરકાર બનશે, સેના પર વિશ્વાસ રાખો. આ દરમિયાન મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ વડાપ્રધાનના આવાસમાં ઘૂસી ગયા છે.
બાંગ્લાદેશના આર્મી ચીફે રાષ્ટ્રને સંબોધિત કરતા કહ્યું કે વડાપ્રધાન શેખ હસીનાએ પોતાના પદ પરથી રાજીનામું આપીને દેશ છોડી દીધો છે. દેશમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવી. ચાલો સાથે મળીને કામ કરીએ. લડાઈ કરીને કંઈ જ નહીં મળે. અમે સાથે મળીને બાંગ્લાદેશને સુંદર દેશ બનાવ્યો છે. આર્મી ચીફ ઝમાને કહ્યું કે અમે તમામ રાજકીય પક્ષો સાથે અર્થપૂર્ણ ચર્ચા કર્યા બાદ વચગાળાની સરકાર બનાવવાનો નિર્ણય લીધો છે. અમે હવે પરિસ્થિતિનો ઉકેલ લાવવા પ્રમુખ મોહમ્મદ શહાબુદ્દીન સાથે વાત કરીશું. તેમણે દરેકને વિરોધના નામે હિંસા બંધ કરવા હાકલ કરી અને વચન આપ્યું કે નવી સરકાર ભેદભાવ વિરોધી વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલા તમામ મૃત્યુ માટે ન્યાય સુનિશ્ચિત કરશે.
આ દરમિયાન, ઢાકા યુનિવર્સિટીના કાયદા વિભાગના પ્રોફેસર આસિફ નઝરુલે એક નિવેદન જારી કરીને વિદ્યાર્થીઓને વિરોધ પ્રદર્શન બંધ કરવાની વિનંતી કરી છે. બપોરે 3:30 કલાકે હજારો વિરોધીઓ ગેટ તોડીને ગૃહમંત્રીના ઘરમાં ઘૂસ્યા હતા. ઘરમાંથી ધુમાડો પણ નીકળતો દેખાઈ રહ્યો છે. અંદર તોડફોડ કરવામાં આવી છે.
