હોર્મુઝની તંગ પરિસ્થિતિ વચ્ચે 20 હજાર ટન LPG લઈને કંડલા પહોંચ્યું જહાજ
Live TV
-
મધ્ય પૂર્વ વિસ્તારમાં વધી રહેલા ભૂરાજકીય તણાવ અને હોર્મુઝ જળમાર્ગને લઈને ઊભી થયેલી ચિંતાઓ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. લગભગ 20 હજાર ટન લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ (LPG) ભરેલું વિદેશી જહાજ સુરક્ષિત રીતે ગુજરાતના કંડલા બંદરે પહોંચી ગયું છે.
માર્શલ આઈલેન્ડના ધ્વજ હેઠળ ચાલતું LPG ટેન્કર “સિમી” હોર્મુઝ જળમાર્ગ પાર કરીને દીનદયાળ પોર્ટ, કંડલા સુધી સફળતાપૂર્વક પહોંચ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. વિશ્વના સૌથી વ્યસ્ત અને સંવેદનશીલ ગણાતા હોર્મુઝ જળમાર્ગમાં છેલ્લા કેટલાક સમયથી વધેલા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય સમુદ્રી વેપાર અને ઈંધણ સપ્લાય અંગે ચિંતા વ્યક્ત થઈ રહી હતી. આવા સમયમાં LPG ભરેલું જહાજ સલામત રીતે ભારતીય બંદરે પહોંચતા વેપાર અને ઊર્જા ક્ષેત્રમાં રાહતનો માહોલ સર્જાયો છે.
માહિતી મુજબ જહાજમાં પ્રોપેન અને બ્યુટેન સહિતનો LPG જથ્થો ભરેલો હતો. આ ગેસનો ઉપયોગ ઘરેલુ રસોઈ ગેસથી લઈને ઔદ્યોગિક ક્ષેત્ર સુધી વિવિધ જરૂરિયાતોમાં થાય છે. તેથી આ સપ્લાય ભારતના ઊર્જા પુરવઠા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
જહાજે હોર્મુઝ જળમાર્ગ પાર કર્યા બાદ અરબી સમુદ્ર માર્ગે ગુજરાતના કંડલા બંદર સુધીની મુસાફરી પૂર્ણ કરી હતી. જહાજમાં કુલ 21 ક્રૂ સભ્યો હાજર હતા, જેમાં વિવિધ દેશોના નાગરિકો સામેલ હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મુસાફરી દરમિયાન સુરક્ષા અને મોનીટરીંગ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું.
વિશ્વના કુલ ક્રૂડ ઓઈલ અને ગેસ વેપારનો મોટો હિસ્સો હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થાય છે. આવા સંજોગોમાં જો આ માર્ગ પર કોઈ વિક્ષેપ સર્જાય તો તેની સીધી અસર ભારત સહિત અનેક દેશોની ઊર્જા સપ્લાય પર પડી શકે છે. તેથી ભારતીય એજન્સીઓ અને પોર્ટ સત્તાધીશો દ્વારા આવી જહાજોની અવરજવર પર સતત નજર રાખવામાં આવી રહી છે.
કંડલા બંદર પર જહાજ પહોંચ્યા બાદ જરૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ઊર્જા ક્ષેત્ર સાથે જોડાયેલા નિષ્ણાતોના મતે, વૈશ્વિક અનિશ્ચિતતાના સમયમાં આ પ્રકારની સફળ સપ્લાય ભારત માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાય છે.
ભારત હાલમાં પોતાની ઊર્જા જરૂરિયાતો માટે મોટા પ્રમાણમાં આયાત પર નિર્ભર છે. ખાસ કરીને LPGની માંગ સતત વધી રહી છે. ત્યારે હોર્મુઝ જેવા સંવેદનશીલ માર્ગ પરથી સુરક્ષિત સપ્લાય ચાલુ રહેવું દેશની ઊર્જા સુરક્ષા માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે.
