‘વિકસિત ભારત’ની યાત્રા દરેક મહોલ્લા, વસાહત અને પરિવાર સુધી પહોંચવી જોઈએ : રાજનાથ સિંહ
Live TV
-
કેન્દ્રીય મંત્રી રક્ષા મંત્રી રાજનાથ સિંહે વિકાસ માત્ર ઈમારતોમાં નહીં, પરંતુ આપણી ઓળખ અને જીવનશૈલીમાં પણ દેખાવો જોઈએ.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે... તેમણે કહ્યું કે, ‘વિકસિત ભારત’ની યાત્રા મોટા શહેરોથી શરૂ થઈને દરેક મહોલ્લા, વસાહત અને પરિવાર સુધી પહોંચવી જોઈએ. વિકાસ માત્ર ઈમારતોમાં નહીં, પરંતુ આપણી ઓળખ અને જીવનશૈલીમાં પણ દેખાવો જોઈએ.
રવિવારે લખનઉ કેન્ટોનમેન્ટમાં વિકાસલક્ષી અનેક યોજનાઓના શિલાન્યાસ સમારોહને સંબોધતા રાજનાથ સિંહે કહ્યું કે ભારત આજે ‘વિકસિત ભારત’ના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે વિકસિત ભારતનો અર્થ માત્ર મોટી યોજનાઓ અને આધુનિક ઈમારતો નથી. જ્યારે બાળકોને સારું શિક્ષણ મળે, દરેક પરિવારના ઘરે સ્વચ્છ પાણી પહોંચે, યુવાનોને રમતગમત અને પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળે તથા દિવ્યાંગ બાળકને સમાજથી પાછળ હોવાનો અહેસાસ ન થાય: એ જ સાચો વિકાસ છે.
રાજનાથ સિંહે કહ્યું કે લખનઉ કેન્ટોનમેન્ટમાં થઈ રહેલો વિકાસ માત્ર ઈંટ, સિમેન્ટ અને મશીનોનો વિકાસ નથી, પરંતુ લોકોના જીવનને વધુ સારું બનાવવાનો પ્રયાસ છે. ક્યાંક ઘર સુધી પાણી પહોંચાડવાનું કામ થઈ રહ્યું છે, ક્યાંક બાળકોને શિક્ષણ અને તક આપવાનો પ્રયાસ છે, તો ક્યાંક જરૂરિયાતમંદોને સારવાર અને યુવાનોને રમતગમત તથા ઉજ્જવળ ભવિષ્યની દિશા આપવાનું કામ થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, લખનઉ કેન્ટોનમેન્ટ બોર્ડે બ્રિટિશ કાળથી ચાલ્યા આવતા કેટલાક બજારોના નામ બદલીને તેમને સ્વાતંત્ર્ય સંગ્રામ, સામાજિક જાગૃતિ અને રાષ્ટ્રસેવા સાથે જોડાયેલા મહાનુભાવોના નામ આપ્યા છે.
રક્ષા મંત્રીએ કહ્યું કે આજે લખનઉ કેન્ટોનમેન્ટ માટે મહત્વપૂર્ણ દિવસ છે. આશરે રૂપિયા 101 કરોડના ખર્ચે 12 વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ 12 યોજનાઓ વધુ સારી કેન્ટોનમેન્ટ, સ્વચ્છતા, બહેતર પાણી પુરવઠો, બાળકોના ઉજ્જવળ ભવિષ્ય, યુવાનોને રમતગમતની વધુ તકો, સન્માનજનક નાગરિક સુવિધાઓ અને આધુનિક ટેક્નોલોજી સાથે આગળ વધતી કેન્ટોનમેન્ટના સંકલ્પનું પ્રતિનિધિત્વ કરે છે.
રાજનાથ સિંહે કહ્યું કે, ઉત્તર પ્રદેશ સરકાર, રક્ષા મંત્રાલય અને ઉદ્યોગ જગત સાથે મળીને વિકાસના કામોને આગળ ધપાવી રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિચારધારા એક દિશામાં હોય ત્યારે વિકાસની ગતિ અનેકગણી વધી જાય છે.
તેમણે લખનઉ કેન્ટોનમેન્ટ બોર્ડની ટીમની પ્રશંસા કરતાં કહ્યું કે સ્પષ્ટ વિચાર, નિર્ધારિત લક્ષ્ય અને કામ કરવાની ઈચ્છાશક્તિ હોય તો મર્યાદિત સંસાધનો વચ્ચે પણ મોટા પરિણામો મેળવી શકાય છે.
