અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિ: રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ‘સદૈવ અટલ’ ખાતે અર્પી પુષ્પાંજલિ
Live TV
-
અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિ: રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ‘સદૈવ અટલ’ ખાતે અર્પી પુષ્પાંજલિ
ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીની આજે 101મી જન્મજયંતિ છે. આ પ્રસંગે સમગ્ર દેશમાં તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. વાજપેયીજીના જન્મદિવસને દેશભરમાં 'સુશાસન દિવસ' (Good Governance Day) તરીકે ઉજવવામાં આવે છે, જે અંતર્ગત વિવિધ જનકલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
‘સદૈવ અટલ’ ખાતે મહાનુભાવોનો જમાવડો
આજે વહેલી સવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સ્થિત અટલજીના સ્મારક ‘સદૈવ અટલ’ ખાતે એક વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં દેશના સર્વોચ્ચ નેતાઓએ હાજરી આપી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્મારક પર પુષ્પો અર્પણ કરી અટલજીના પ્રદાનને યાદ કર્યું હતું. આ પ્રસંગે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પણ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા સહિત કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યો અને અન્ય મહાનુભાવોએ પણ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
પ્રધાનમંત્રીનો ભાવુક સંદેશ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર અટલજીને યાદ કરતા જણાવ્યું કે, "અટલજીનું વ્યક્તિત્વ, તેમનું આચરણ અને દેશહિત પ્રત્યેનો તેમનો અડગ સંકલ્પ ભારતીય રાજકારણ માટે હંમેશા આદર્શ રહેશે. તેમનું નેતૃત્વ દેશને વિકસિત બનાવવા માટે પ્રેરણા આપતું રહેશે."
ગુજરાતમાં ‘સુશાસન સપ્તાહ’ની ઉજવણી
અટલજીની જન્મજયંતિ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા પણ‘સુશાસન સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવા માટે ખાસ ડિજિટલ પોર્ટલ અને સેવાસેતુ જેવા કાર્યક્રમો પર ભાર મૂકવામાં આવ્યો છે.
