કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ભારતપોલ પોર્ટલ લોન્ચ કરશે
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા વિકસિત 'ભારતપોલ' પોર્ટલને લોન્ચ કરશે. આ પોર્ટલ INTERPOL દ્વારા આંતરરાષ્ટ્રીય સહાય માટેની તમામ વિનંતીઓની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરશે. આમાં ઈન્ટરપોલ દ્વારા જારી કરાયેલી લાલ અને અન્ય કલર કોડેડ નોટિસ સંબંધિત મામલાઓનો સમાવેશ થાય છે.
સીબીઆઇ, ભારતમાં ઇન્ટરપોલ માટે નેશનલ સેન્ટ્રલ બ્યુરો (એનસીબી-નવી દિલ્હી) તરીકે, કાયદા અમલીકરણ એજન્સીઓ સહિત દેશભરની વિવિધ એજન્સીઓ સાથે જોડાણમાં ગુનાહિત બાબતોમાં આંતરરાષ્ટ્રીય સહકારની સુવિધા આપે છે. કેન્દ્ર, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના સ્તરે આ સંકલન ઇન્ટરપોલ લાયઝન ઓફિસર્સ (આઇએલઓ) મારફતે અમલમાં મૂકવામાં આવે છે, જેઓ વધુમાં તેમના સંબંધિત સંગઠનોની અંદર પોલીસ અધિક્ષકો, પોલીસ કમિશનરો અને શાખા વડાઓના સ્તરે યુનિટ ઓફિસર્સ (યુઓ) સાથે જોડાયેલા છે. હાલમાં સીબીઆઇ, આઇએલઓ અને યુઓ વચ્ચેના સંદેશાવ્યવહારનો આધાર મુખ્યત્વે પત્રો, ઇમેઇલ અને ફેક્સ પર રહેલો છે.
સાયબર-ક્રાઇમ, નાણાકીય ગુનાઓ, ઓનલાઇન કટ્ટરવાદ, સંગઠિત ગુનાઓ, માદક દ્રવ્યોની દાણચોરી, માનવ તસ્કરી વગેરે સહિત આંતરરાષ્ટ્રીય અપરાધોની વધતી જતી છાપને કારણે ગુનાહિત તપાસમાં ઝડપી અને વાસ્તવિક સમયની આંતરરાષ્ટ્રીય સહાયતાની જરૂર છે. આ પડકારને પહોંચી વળવા માટે સીબીઆઇએ ભારતપોલ પોર્ટલ વિકસાવ્યું છે, જે તેની સત્તાવાર વેબસાઇટ મારફતે સુલભ છે, જે તમામ હિતધારકોને એક સમાન પ્લેટફોર્મ પર લાવશે.
ભારતપોલ પોર્ટલ ઇન્ટરપોલ મારફતે આંતરરાષ્ટ્રીય સહાય માટેની તમામ વિનંતીઓની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરશે, જેમાં રેડ નોટિસ અને અન્ય કલર કોડેડ ઇન્ટરપોલ નોટિસો ઇશ્યૂ કરવાનો સમાવેશ થાય છે. ભારતપોલ પોર્ટલ ફિલ્ડ-લેવલ પોલીસ અધિકારીઓ માટે પરિવર્તનકારી સાધન બનશે, જે અપરાધો અને સુરક્ષા સંબંધિત પડકારોને પહોંચી વળવા તેમની કાર્યદક્ષતામાં વધારો કરશે. આંતરરાષ્ટ્રીય સહાય માટે સરળ અને ઝડપી સુલભતાની સાથે, તે બહુરાષ્ટ્રીય અપરાધોનો સામનો કરવા માટે ભારતના પ્રયાસોને મજબૂત બનાવશે.
સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે કારણ કે આજે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન દ્વારા વિકસિત ભારતપોલ પોર્ટલ લોન્ચ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આનાથી ભારતીય તપાસ એજન્સીઓની વૈશ્વિક પહોંચમાં વધારો થશે અને મોદી સરકારના બધા માટે સુરક્ષિત ભારતના નિર્માણના સપનાને સાકાર કરવા માટે તેમને નવી ધાર મળશે.
ગૃહ મંત્રાલયે કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે દેશની કાયદા અમલીકરણ એજન્સીઓને મજબૂત કરવા માટે ઘણી મહત્વપૂર્ણ પહેલ કરી છે.
