કેન્દ્રીય નાણામંત્રી સીતારમણનો SEBIને સમગ્ર નાણાકીય વ્યવસ્થામાં KYCને સરળ બનાવવાનો આગ્રહ
Live TV
-
એક એવી KYC સિસ્ટમ હોવી જોઈએ જે સરળ, સુરક્ષિત અને તમામ પ્લેટફોર્મ પર કાર્ય કરે. વર્તમાન સિસ્ટમ લોકો માટે સમસ્યાઓ ઊભી કરે છે: નાણાં મંત્રી નિર્મલા સીતારમણ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે KYC પ્રક્રિયામાં મોટા ફેરફારો કરવાની હાકલ કરી હતી. તેમણે SEBIને સમગ્ર નાણાકીય વ્યવસ્થામાં KYCને સરળ બનાવવા અને એકસમાન બનાવવા માટે પગલાં લેવા આગ્રહ કર્યો હતો. SEBIના 38મા સ્થાપના દિવસના કાર્યક્રમમાં નાણામંત્રીએ કહ્યું કે, એક એવી KYC સિસ્ટમ હોવી જોઈએ જે સરળ, સુરક્ષિત અને તમામ પ્લેટફોર્મ પર કાર્ય કરે. વર્તમાન સિસ્ટમ લોકો માટે સમસ્યાઓ ઊભી કરે છે કારણ કે તેમને વિવિધ સ્થળોએ વારંવાર એક જ દસ્તાવેજો અને માહિતી પૂરી પાડવા પડે છે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે શું કહ્યું ?
નાણામંત્રીએ આ પ્રક્રિયાને ઝડપી બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને કહ્યું કે, ફાઈનાન્સિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલના સહયોગથી સામાન્ય સિસ્ટમ વિકસાવવી જોઈએ. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, કોઈપણ નાગરિકને વિવિધ પ્લેટફોર્મ પર વારંવાર KYC પૂર્ણ કરવાની જરૂર ન પડે. નાણાં મંત્રીએ વધુમાં કહ્યું કે, ઝડપથી બદલાતા નાણાકીય બજારોને ધ્યાનમાં રાખીને નિયમોમાં સુધારો કરવાની જરૂર છે. તેમણે ભાર મૂક્યો કે, નિયમો હવે સમસ્યાઓ ઊભી થાય પછી જ નહીં, પરંતુ સંભવિત જોખમોની અપેક્ષા રાખવા માટે રચાયેલ હોવા જોઈએ. તેમણે કૃત્રિમ બુદ્ધિમત્તાના દુરુપયોગ, આંતરરાષ્ટ્રીય નાણાકીય છેતરપિંડી અને વધતા સાયબર જોખમોને મુખ્ય પડકારો તરીકે ટાંક્યા.
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, આગળ જતાં નિયમો વધુ પડતા કઠોર અને જટિલ હોવાને બદલે સિદ્ધાંતો પર આધારિત હોવા જોઈએ, જેથી નવીનતાને પ્રોત્સાહન મળે અને રોકાણકારોના હિતોનું રક્ષણ થાય. તેમણે સૂચન કર્યું કે, નવા નિયમો ઘડતી વખતે જાહેર અભિપ્રાય મેળવવામાં આવે, જેનાથી સંતુલિત નિયમો બને.
આ મહિનાની શરૂઆતમાં નાણામંત્રીએ કહ્યું હતું કે, ભારતની મજબૂત આર્થિક સ્થિતિ અને સારા વિદેશી વિનિમય ભંડાર ભારતીય રિઝર્વ બેંકને નીતિ ઘડતરમાં વધુ સુગમતા આપે છે. 6 એપ્રિલના રોજ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક ફાઇનાન્સ એન્ડ પોલિસીના સુવર્ણ જયંતિ સમારોહને સંબોધતા તેમણે કહ્યું હતું કે, ભારત પાસે મૂડીખર્ચ ચાલુ રાખવા, વ્યાજ દર ઘટાડવા અને અસરગ્રસ્ત ક્ષેત્રોને સહાય પૂરી પાડવા માટે પૂરતી ક્ષમતા છે, જે છેલ્લા દસ વર્ષના નાણાકીય શિસ્તનું પરિણામ છે.
