કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ ગ્રાઉન્ડ ખાતે પ્રધાનમંત્રી મોદીની આજે મેગા રેલી, કરોડોના વિકાસના કામોનો કરશે શિલાન્યાસ
Live TV
-
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના ગરમાવા વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શનિવારે(14 માર્ચ, 2026) કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ પર એક વિશાળ જનસભાને સંબોધિત કરશે. ભાજપની રાજ્યવ્યાપી 'પરિવર્તન યાત્રા'ના સમાપન નિમિત્તે આયોજિત આ રેલીમાં રેકોર્ડબ્રેક ભીડ ઉમટી પડવાની શક્યતા છે. આ મેગા ઈવેન્ટ માટે સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હજારો પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે અને શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
આ પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી પશ્ચિમ બંગાળમાં અંદાજે ₹18,680 કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. જેમાં ₹16,990 કરોડના ખર્ચે તૈયાર થનારા 420 કિલોમીટર લાંબા નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સનો મુખ્ય ઉદ્દેશ્ય પૂર્વ ભારતમાં માર્ગ સુરક્ષામાં સુધારો કરવા, ટ્રાફિકની સમસ્યા ઘટાડવા અને પ્રાદેશિક આર્થિક વિકાસને વેગ આપવાનો છે.
આ પ્રોજેક્ટ્સમાં સૌથી મહત્વનો 231 કિલોમીટર લાંબો ખડગપુર-મોરગ્રામ ઈકોનોમિક કોરિડોર છે, જે ફોર લેન હાઈવે તરીકે વિકસાવવામાં આવશે. આ કોરિડોર બનવાથી ખડગપુર અને સિલીગુડી વચ્ચેનું અંતર 120 કિલોમીટર જેટલું ઘટી જશે, જેનાથી મુસાફરીના સમયમાં અંદાજે 8 કલાકનો મોટો બચાવ થશે. આ ઉપરાંત, પીએમ મોદી NH-14 પર દુબરાજપુર બાયપાસ અને કાંગસાબતી તથા સિલાબતી નદીઓ પર નવા પુલનો શિલાન્યાસ પણ કરશે, જે આ પ્રદેશમાં હાઈવે કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવશે.
કોલકાતા પહોંચતા પહેલા પ્રધાનમંત્રી આસામના સિલચરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે અને ત્યારબાદ બંગાળમાં પોતાની ચૂંટણી રેલી અને વિકાસ કાર્યોના લોકાર્પણ માટે રવાના થશે. ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ રાજુ બેનર્જીના જણાવ્યા અનુસાર, આ રેલી માટેની સંગઠનાત્મક તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
