ક્રિસમસમાં ચેન્નઈથી સમગ્ર તમિલનાડુમાં દોડાવાશે 900 સ્પેશિયલ બસ
Live TV
-
ક્રિસમસ પહેલા મુસાફરોની અવરજવરમાં અપેક્ષિત વધારાને ધ્યાનમાં રાખીને, સ્ટેટ એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (SETC)એ આગામી બે દિવસમાં ચેન્નઈથી તમિલનાડુના વિવિધ ભાગો માટે 900 ખાસ બસ સેવાઓ ચલાવવાની જાહેરાત કરી છે.
પરિવહન અધિકારીઓને અપેક્ષા છે કે, ચેન્નઈ અને અન્ય મોટા શહેરોમાંથી પ્રવાસીઓની સંખ્યામાં તીવ્ર વધારો થશે. કારણ કે લોકો તહેવારોની ઉજવણી માટે તેમના વતન અને ધાર્મિક સ્થળોએ જાય છે. વધતી માંગને ધ્યાનમાં રાખીને, તમિલનાડુ રાજ્ય પરિવહન નિગમ (TNSTC)એ મુસાફરો માટે સરળ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે તેની નિયમિત સેવાઓ ઉપરાંત ખાસ બસો ચલાવવાનો નિર્ણય લીધો છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, મોટાભાગની ખાસ સેવાઓ કિલમ્બક્કમ ઇન્ટિગ્રેટેડ બસ ટર્મિનસથી ચલાવવામાં આવશે, જે દક્ષિણ ચેન્નઈથી લાંબા અંતરની સેવાઓનું સંચાલન કરે છે. બુધવારે કિલમ્બક્કમથી 255 ખાસ બસો દોડશે. જ્યારે ગુરુવારે 525 બસો દોડશે, જે ચેન્નઈને રાજ્યના વિવિધ ભાગો સાથે જોડશે. આ ખાસ સેવાઓ તિરુવન્નામલાઈ, તિરુચિરાપલ્લી, કુંભકોણમ, મદુરાઈ, તિરુનેલવેલી, નાગરકોઇલ, કન્યાકુમારી, થુથુકુડી, કોઈમ્બતુર, સેલેમ, ઇરોડ અને તિરુપુર જેવા ઉચ્ચ માંગવાળા રૂટ પર દોડશે.
તહેવારોની મોસમ દરમિયાન આ સ્થળોએ સામાન્ય રીતે મુસાફરોની ભારે ભીડ જોવા મળે છે, ખાસ કરીને ઓફિસ જનારાઓ અને વિદ્યાર્થીઓ જે તેમના વતન પરત ફરી રહ્યા છે. આ ઉપરાંત, ચેન્નઈ અને કોઈમ્બતુરથી તિરુવન્નામલાઈ, નાગપટ્ટીનમ, વેલંકની, હોસુર અને બેંગલુરુ સહિત અન્ય સ્થળો માટે ખાસ બસો દોડાવવામાં આવશે. બે દિવસમાં આ રૂટ પર કુલ 91 ખાસ બસો દોડશે. ભીડને વધુ ઓછી કરવા માટે, ઉત્તર ચેન્નઈના માધવરામથી 20 વધુ ખાસ બસો દોડાવવામાં આવશે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, માંગના આધારે રવિવારે તમિલનાડુના વિવિધ ભાગોથી ચેન્નઈ અને બેંગલુરુ સુધી ખાસ રિટર્ન સેવાઓ પણ ચલાવવામાં આવશે, જે નાતાલની રજાઓ પછી મુસાફરોને પરત ફરવાની સુવિધા આપશે.
મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે, તેઓ તેમની મુસાફરીનું અગાઉથી આયોજન કરે અને છેલ્લી ઘડીની મુશ્કેલીઓ ટાળવા માટે સત્તાવાર બુકિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરે. ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને જણાવ્યું હતું કે, આ વધારાની સેવાઓનો હેતુ તહેવારોની મોસમ દરમિયાન સલામત, આરામદાયક અને સમયસર મુસાફરી સુનિશ્ચિત કરવાનો છે.
