ગૃહિણીઓ ‘હોમમેકર’ નહીં ‘નેશન બિલ્ડર’: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Live TV
-
દેશની સર્વોચ્ચ અદાલતે ગૃહિણીઓના અવેતન (વગર પગારે કરાતા) ઘરકામને મહત્વપૂર્ણ આર્થિક અને સામાજિક માન્યતા આપતો એક ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, ગૃહિણીઓનું યોગદાન માત્ર પરિવાર પૂરતું સીમિત નથી, પરંતુ તેઓ માનવ સંસાધન વિકાસ અને રાષ્ટ્ર નિર્માણમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. આથી તેમને માત્ર ‘હોમમેકર’ કહેવાને બદલે ‘નેશન બિલ્ડર’ (રાષ્ટ્ર નિર્માતા) કહેવી જોઈએ.જસ્ટિસ સંજય કરોલની અધ્યક્ષતાવાળી ખંડપીઠે અકસ્માતનો ભોગ બનેલી ગૃહિણીઓના કિસ્સામાં વળતર નક્કી કરવા માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. અદાલતે ‘ઘરેલું સંભાળના નુકસાન’નું આર્થિક મૂલ્ય પ્રતિ માસ ₹30,000 નક્કી કર્યું છે.
પત્ની અને ગૃહિણી દ્વારા કરવામાં આવતું ઘરકામ, બાળકોનો ઉછેર અને પરિવારની સંભાળ આર્થિક દૃષ્ટિએ અત્યંત મૂલ્યવાન છે.જ્યારે કોઈ અકસ્માતને કારણે પરિવાર આ સેવાથી વંચિત થઈ જાય છે, ત્યારે વળતર નક્કી કરતી વખતે આ નુકસાનને અનિવાર્યપણે ધ્યાનમાં લેવું જોઈએ.આ નવો સિદ્ધાંત અગાઉના ચુકાદાઓમાં નિર્ધારિત વળતરના ધોરણો ઉપરાંતનો રહેશે અને હવેથી તમામ મોટર અકસ્માત વળતરના દાવાઓમાં તેનું પાલન કરવામાં આવશે."ગૃહિણીનું કાર્ય 24 કલાકનું હોય છે, જેમાં રસોઈ બનાવવી, સફાઈ કરવી, બાળકોની સંભાળ, વડીલોની સેવા અને પરિવારનું સંચાલન સામેલ છે. તેને માત્ર ભાવનાત્મક યોગદાન માનીને નજરઅંદાજ કરી શકાય નહીં."સુપ્રીમ કોર્ટે તમામ વડી અદાલતો (હાઈકોર્ટ)ના મુખ્ય ન્યાયાધીશોને મોટર અકસ્માત વળતરના કેસોની નિયમિત દેખરેખ રાખવા અપીલ કરી છે, જેથી પીડિત પરિવારોને સમયસર ન્યાય મળી શકે. આ સાથે જ મોટર વાહન અધિનિયમ (MV Act)ની કલમ 169 અંતર્ગત ‘સંક્ષિપ્ત પ્રક્રિયા’નું ચુસ્તપણે પાલન કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. અદાલતનો આ નિર્ણય દેશની લાખો ગૃહિણીઓના શ્રમને આર્થિક સન્માન આપનારો સાબિત થશે.
