ચોમાસુ સત્રના છઠ્ઠા દિવસે લોકસભામાં કંપની સુધારા વિધેયક-2020ને પસાર
Live TV
-
લોકસભાએ શનિવારે કંપની સુધારા વિધેયક-2020ને પસાર કરી દીધું હતું. તે અંતર્ગત કેટલાક અપરાધોને આર્થિક અપરાધની કક્ષામાંથી બહાર કરવામાં આવ્યા છે. તેના પગલે ભારતીય કંપનીઓને વિદેશી સ્ટોકએક્સચેન્જમાં સીધા લિસ્ટિંગની પણ છુટછાટ મળશે. તે ઉપરાંત કોર્પોરેટ સોસિઅલ રીસ્પોન્સિબિલિટી નિયમોના ઉલ્લંઘન બદલ કંપની અધિનિયમ હેઠળ જે અપરાધ બનતા હતા તે જોગવાઇઓ પણ દૂર કરવામાં આવી છે.
વિધેયક પર ચર્ચા કરતાં નાણામંત્રી નિર્મલા સીતારામને સ્પષ્ટતા કરી હતી કે ગંભીર પ્રકારના અપરાધ આર્થિક અપરાધની કક્ષામાં પહેલાની જેમ યથાવત રહેશે. તેમણે જણાવ્યું કે કંપની અધિનિયમ 2013ની 48 કલમોમાં થયેલી વિવિધ અપરાધો સંબંધી જોગવાઇ દૂર કરવા અધિનિયમમાં ફેરફાર થશે. તેમણે કહ્યું કે ઉત્પાદક સંગઠનનું નવું ચેપ્ટર પણ હશે કે જે ખેત પેદાશ સંગઠનો માટે મદદગાર રહેશે. તેમણે કહ્યું કે વેપારને પ્રોત્સાહન આપવા કંપની અધિનિયમની 17 જોગવાઇઓમાં સુધારા કરવામાં આવ્યા છે. બીજી તરફ રાજ્યસભાએ શનિવારે ઇનસોલ્વન્સી એન્ડ બેન્ક્રપ્સી કોડ દ્વિતીય સુધારા વિધેયકને મંજૂરી આપી દીધી હતી.
નાણામંત્રી નિર્મલા સીતારામને વિધેયક રજૂ કર્યું હતું. આ વિધેયક આ વર્ષે જૂન મહિનામાં અમલી બનેલા વટહુકમનું સ્થાન લેશે. નાણા મંત્રીએ કહ્યું કે કોવિડ મહામારીને કારણે ઉત્પન્ન સ્થિતીને કારણે કોડમાં આ સુધારા કરવા પડ્યા છે. વેપારધંધાને આ વિષય પરિસ્થિતીમાં દેવાળિયા અંગેની કાર્યવાહી સામે સંરક્ષણ મળે તે હેતુસર સુધારા કરવામાં આવ્યા છે. આ સુધારાને પગલે 258 કંપનીઓને ડૂબતી બચાવી શકાશે. રાજ્યસભાએ મહામારી સુધારા વિધેયક -2020ને પણ બહાલી આપી દીધી હતી.આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ડો. હર્ષવર્ધને ચર્ચાનો જવાબ આપ્યો હતો.
